Gujarat

ડિંડોલીમાં ખંડણીખોરોનો આતંક: `ફરીયાદ પાછી ખેંચી લે નહીં તો આજે તારૂ પુરૂ` મંડપ ડેકોરેટરને ચપ્પુના ઘા ઝીંકી દેવાયા

By GS Team
18 Nov 20212 mins read
This article was originally published on 18 Nov 2021
ડિંડોલીમાં ખંડણીખોરોનો આતંક: `ફરીયાદ પાછી ખેંચી લે નહીં તો આજે તારૂ પુરૂ` મંડપ ડેકોરેટરને ચપ્પુના ઘા ઝીંકી દેવાયા




- દિવાળીમાં વાપરવા માટે ખંડણી પેટે રૂ. 2-3 હજાર માંગતા ધંધાર્થીએ નોંધાવેલી ફરિયાદની અદાવતમાં ચપ્પુથી આધેડને ઘા મરાયા

સુરત
નવાગામ-ડીંડોલીમાં મંડપ ડેકોરેશનના ધંધાર્થીને તહેવાર ટાંણે વાપરવા માટે બે-ત્રણ હજાર રૂપિયા પડશે નહીં તો તારૂ પુરૂ કરી નાંખીશું તેવી ધમકી આપનાર માથાભારે વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદની અદાવતમાં ગત સાંજે ચપ્પુ વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હત્યાનો પ્રયાસ કરતા ડીંડોલી પોલીસ દોડતી થઇ ગઇ છે.
નવાગામ-ડીંડોલીના ઉમીયા નગર-1 માં રહેતા અને રાકેશ મંડપ ડેકોરેશન નામે ધંધો કરતા ભરત તુકારામ પાટીલ (ઉ.વ. 57) ગત રાત્રે ઘર નજીક અંબા માતાના મંદિર પાસે સોસાયટીના મિત્રો સાથે બેઠો હતો. ત્યારે માથાભારે રીતેશ ઉર્ફે રીતીયો કમલેશ ગવડે, રોહિત, બેંડી સહિત ચારેક જણા ઘસી આવી ભરતને કહ્યું હતું કે તે રાજેશ યાદવને કેમ માર માર્યો હતો અને તેના વિરૂધ્ધમાં નોંધાવેલી ફરીયાદ પાછી ખેંચી લે, આજે તને જાનથી પુરો કરી નાંખવાના છે એમ કહી ચપ્પુના ઘા છાતી, જમણા હાથ અને ડાબા પગની જાંઘમાં મારી દીધા હતા. ભરતે બુમાબુમ કરતા પુત્ર રવિન્દ્ર અને પત્ની સુનંદા દોડી આવતા ચારેય જણા ભાગી ગયા હતા. ઉલ્લેખનીય છે કે દિવાળી વખતે સ્થાનિક વિસ્તારના માથાભારે રાજેશ ધનુરાય યાદવ, ભટ્ટુ ધનરાજ બોરસે અને ચંદ્રકાંત ઉર્ફે સાગર અશોક પાટીલે તહેવારના સમયે વાપરવા માટે ખંડણી પેટે બે-ત્રણ હજાર રૂપિયા આપવા પડશે, નહીં તો તારૂ પુરૂ કરી નાંખીશું તેવી ધમકી આપતા ભરતે ડીંડોલી પોલીસમાં ખંડણીની ફરીયાદ નોંધાવી હતી.


આ અદાવતમાં રાજેશ યાદવના માણસો ભરતના ઘરે પાસે આંટાફેરા મારતા હતા અને હું ચીલ્લર બોલું છે, રાજેશ બિહારી ઉર્ફે રાજેશ યાદવને કેમ માર્યો હતો, તારા ઘરની આજુબાજુ મારા માણસ ફરે છે, બહાર નીકળે એટલે તારૂ પુરૂ એવી ધમકી આવતા ફોન આવતા હતા.