Ider News: સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ સપ્તેશ્વર મહાદેવ મંદિર નજીકથી પસાર થતી સાબરમતી નદીમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. નદીમાં નાહવા પડેલા એક કિશોરનું ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. આ અકસ્માતને પગલે સ્થાનિક પંથકમાં અને યાત્રાધામ સપ્તેશ્વર ખાતે શોકનું મોજું ફરી વળ્યું છે.
જોખમી ધરા વિસ્તારમાં ન્હાવા જતાં સર્જાઈ હોનારત
મળતી માહિતી અનુસાર, આ દુર્ઘટના આજે (15મી જૂન) સવારના સમયે બની હતી. સપ્તેશ્વર મંદિર દર્શનાર્થે કે ફરવા આવેલા શ્રદ્ધાળુઓ પૈકી એક કિશોર સવારના સમયે સાબરમતી નદીના કિનારે નાહવા માટે પડ્યો હતો. જોકે, નદીના જે ભાગમાં તે નાહવા ગયો હતો તે વિસ્તાર અત્યંત જોખમી તરીકે ઓળખાય છે. કિશોર પાણીના ઊંડાણનો અંદાજ ન લગાવી શકવાના કારણે અચાનક નદીના જોખમી ધરા વિસ્તારમાં ડૂબવા લાગ્યો હતો અને જોતજોતામાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
ફાયર ટીમ અને સ્થાનિકોએ ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો
કિશોરને પાણીમાં ડૂબતો જોઈને કિનારા પર હાજર અન્ય સ્થાનિક લોકો અને તરવૈયાઓએ તેને બચાવવા માટે તાત્કાલિક પાણીમાં કૂદીને ભારે પ્રયાસો કર્યા હતા. ઘટનાની જાણ સ્થાનીય વહીવટીતંત્ર અને ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવતા ફાયર ફાયટરો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયરની ટીમ અને સ્થાનિક લોકો દ્વારા નદીમાં સંયુક્ત રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કલાકોની ભારે જહેમત બાદ અંતે કિશોરના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી.
ઘટનાની માહિતી મળતા જ જાદર પોલીસ મથકનો સ્ટાફ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. જાદર પોલીસે કિશોરના મૃતદેહનો કબજો સંભાળી તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, સપ્તેશ્વર નદીના જોખમી વિસ્તારોમાં વહીવટીતંત્ર દ્વારા ચેતવણીના બોર્ડ મારવામાં આવ્યા હોવા છતાં લોકો જીવના જોખમે નાહવા પડતા હોય છે, જે આવી મોટી હોનારતોને નોતરે છે.


