Get The App

ભારતે ન્યૂઝીલેન્ડ સામે ફાઈનલ જીતવા કેટલો સ્કોર કરવો પડે? મૂળ ગુજરાતી કેનેડાના વાઈસ કેપ્ટન હર્ષ ઠાકરેએ જણાવ્યું જીતનું સમીકરણ

Updated: Mar 8th, 2026

GS TEAM

Google News
Google News
ભારતે ન્યૂઝીલેન્ડ સામે ફાઈનલ જીતવા કેટલો સ્કોર કરવો પડે? મૂળ ગુજરાતી કેનેડાના વાઈસ કેપ્ટન હર્ષ ઠાકરેએ જણાવ્યું જીતનું સમીકરણ 1 - image

Canada Team Vice Captain Harsh Thaker Exclusive Interview: અમદાવાદમાં આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપનો ફાઈનલ રમાશે. ત્યારે ગુજરાત સમાચાર ડિજિટલની ટીમે મૂળ ગુજરાતી અને આ વર્લ્ડ કપમાં કેનેડાની ટીમમાં વાઈસ કેપ્ટન હર્ષ ઠાકર સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જીત અંગે એનાલિસિસ કર્યું છે. મહત્ત્વનું છે કે, હર્ષ ઠાકરે T20 વર્લ્ડ કપમાં ભારતને જીતવા માટે મેસિવ ફેવરિટ હોવાનું કહ્યું છે. આ સાથે અમદાવાદની લાલ માટીની પિચમાં 180+ રનના સ્કોરનો ટાર્ગેટ કેમ જરુરી છે તેનું મહત્ત્વ પણ જણાવ્યું છે. આ ઉપરાંત ફાઈનલ મેચમાં વરુણ ચક્રવર્તી અને અભિષેક શર્મા જેવા ખેલાડીઓના રોલ વિશે ખાસ વાતચીત કરી છે. 

ગુજરાત સાથે જોડાયેલા છે હર્ષના મૂળ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ ફાઈનલ અંગે હર્ષ ઠાકરે જણાવ્યું કે, 'હું કેનેડિયન ક્રિકેટ ટીમ માટે રમું છું. મારું પહેલું સિલેક્શન 2018માં થયું હતું અને ત્યારથી હું ટીમનો સતત ભાગ રહ્યો છું. આ વર્લ્ડ કપમાં મને વાઈસ કેપ્ટન તરીકેની જવાબદારી મળી હતી. મારો જન્મ ગુજરાતમાં થયો હોવાથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવું મારા માટે બહુ ગર્વની વાત હતી. જ્યારે હું અહીં મેચ રમ્યો ત્યારે મારો પરિવાર, મિત્રો અને મારી બહેન પણ સ્ટેડિયમમાં હાજર હતા, જે મારા માટે ખૂબ ભાવુક ક્ષણ હતી.'

આ પણ વાંચો: ન્યૂઝીલેન્ડના આ 3 ખેલાડી ગમે ત્યારે પલટી શકે છે બાજી! ટીમ ઈન્ડિયાએ રહેવું પડશે સાવધાન

T20 વર્લ્ડ કપને લઈને તેમણે જણાવ્યું કે, 'વ્યક્તિગત રીતે આ ટુર્નામેન્ટ મારા માટે શાનદાર રહી કારણ કે મેં વર્લ્ડ કપમાં એક ફિફ્ટી પણ ફટકારી હતી. જ્યારે પણ હું નિવૃત્ત થઈશ ત્યારે પાછા વળીને જોઈશ તો આ ક્ષણ મને ગર્વ અપાવશે. અમદાવાદમાં રમીને મને જે કોન્ફિડન્સ મળ્યો છે, તેનાથી મને અહેસાસ થયો કે હું આ આંતરરાષ્ટ્રીય લેવલ પર રમવા માટે સક્ષમ છું. વિશ્વના શ્રેષ્ઠ ફાસ્ટ બોલરો સામે રમીને મારું ક્રિકેટનું સ્તર એક લેવલ ઉપર ગયું છે. આટલા વર્ષોના અનુભવ પછી હું શીખ્યો છું કે મેદાન પર તમારું માનસિક સ્તર ગમે તેવું હોય પણ પોઝિટિવિટી સાથે બેટિંગ કરવા જવું જોઈએ. અમારી ટીમ ગ્રુપ ઓફ ડેથમાં હતી, જેમાં સાઉથ આફ્રિકા, ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાન જેવી મજબૂત ટીમો હતી. આટલી મોટી ટીમો સામે રમીને મારું પ્રદર્શન સારું રહ્યું તે મારા માટે મોટી વાત છે.'

ભારતની જીતની 70% શક્યતા

ભારત અને ન્યુઝીલેન્ડની વચ્ચે રમાનારી ફાઈનલ મેચ અંગે તેમણે જણાવ્યું કે, 'આજની મેચ માટે ભારત મેસિવ ફેવરિટ છે. ભારત પોતાના હોમ સ્ટેડિયમમાં રમી રહ્યું છે એટલે જીતવાની શક્યતા 70% અને ન્યુઝીલેન્ડની 30% કહી શકાય. જોકે, ન્યુઝીલેન્ડની ટીમ અંડરરેટેડ છે પણ તેમનું પ્લાનિંગ અને એક્ઝીક્યુશન ખૂબ જ ચોક્કસ હોય છે. ભારતે પોતાની સ્કિલથી ન્યુઝીલેન્ડના પ્લાનને હરાવવો પડશે. ટી20 ક્રિકેટ હંમેશા અનિશ્ચિત હોય છે, એકાદ-બે બોલ પણ ગેમ બદલી શકે છે.'

વરુણ ચક્રવર્તી અને અભિષેક શર્મા પર ભરોસો

હર્ષ ઠાકરે વરુણ ચક્રવર્તી અને અભિષેક શર્માના અત્યાર સુધીના પર્ફોમન્સ વિશે જણાવ્યું કે, 'ફેન્સની અપેક્ષાઓ હંમેશા ઊંચી હોય છે, પણ વરુણ ચક્રવર્તી દુનિયાનો નંબર વન બોલર છે અને અભિષેક શર્મા નંબર વન બેટર છે. અભિષેકને પહેલેથી જ આક્રમક રમવાની સૂચના હોય છે. જો આવા ખેલાડીઓ ચાર મેચમાં નિષ્ફળ જાય અને તમે તેમને ફાઈનલ જેવી મેચમાંથી બહાર કાઢો, તો તે આખી ટીમને ખોટો મેસેજ આપે છે. મને વિશ્વાસ છે કે આ બંને ખેલાડીઓ આજે રમશે અને સારું પ્રદર્શન કરશે.'

અમદાવાદની પીચ વિશે અને ફાઈનલ મેચ જીતવા કેટલો સ્કોર જરૂરી છે તેના વિશે જણાવ્યું કે, 'અમદાવાદમાં મોટે ભાગે રેડ સોઈલની પિચ હોય છે, જેમાં બાઉન્સ સારો મળે છે અને તે બેટરો માટે સાનુકૂળ હોય છે. જોકે, અહીં સ્પિનર્સને પણ થોડી મદદ મળી શકે છે. ફાઈનલ મેચમાં સ્કોરબોર્ડનું પ્રેશર ઘણું હોય છે, એટલે જે ટીમ પહેલા બેટિંગ કરીને 180થી વધુ રન બનાવશે, તેને જીતવાનો મોટો ફાયદો થશે.'

IPLમાં રમવાનું સપનું

તેમના ફેવરિટ ખેલાડી વિશે વાત કરતા જણાવ્યું કે, 'ભારતીય ટીમમાં સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહ મારા ફેવરેટ છે. મેં દિલ્હીમાં પ્રેક્ટિસ દરમિયાન સૂર્યકુમાર યાદવ સાથે વાત પણ કરી હતી કે સ્લોઅર બોલને કેવી રીતે ટેકલ કરવા. મારું સપનું એકવાર IPLમાં રમવાનું છે. હું માનું છું કે જો હું સતત સારું પરફોર્મન્સ કરતો રહીશ, તો એક દિવસ ચોક્કસ ઓક્શનમાં મારું નામ આવશે અને મને તક મળશે.'

અંતમાં તેમણે જણાવ્યું કે, 'કેનેડામાં અત્યારે ક્રિકેટ સૌથી ઝડપથી વિકસતી રમત છે. હું ચાહકોને વિનંતી કરીશ કે અમને અને એસોસિએટ ટીમોને સપોર્ટ કરતા રહો. જો લોકલ સપોર્ટ મળશે તો આઈસીસી અને ગવર્મેન્ટ પણ અમને વધુ મદદ કરશે.'