Get The App

લાલપુર-બગસરા પંથકમાં કરાં વરસ્યા, અમરેલી જિ.માં માવઠાં, ખેડૂતો ચિંતિત

Updated: Mar 18th, 2026

GS TEAM

Google News
Google News
લાલપુર-બગસરા પંથકમાં કરાં વરસ્યા, અમરેલી જિ.માં માવઠાં, ખેડૂતો ચિંતિત 1 - image

ગુજરાતમાં 20થી 35 KMનો તોફાની પવન ફૂંકાયો  : આજે રાજ્યમાં 50 કિ.મી.ઝડપે મીની વાવાઝોડા સાથે માવઠાંનું જોર વધશે : 2 દિવસ બાદ ફરી ગરમી શરૂ થશે

રાજકોટ, : ટ્રફ સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ગુજરાતની પડોશમાં રાજસ્થાન સહિત અનેક સ્થળે હવાનું સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત સીસ્ટમ સક્રિય થતા સમગ્ર દેશમાં ઉનાળાને બ્રેક સાથે તોફાની માવઠાંનો માહૌલ સર્જાયો છે જેની અસર ગુજરાત પર થવાની આજે શરૂ થઈ છે. રાજ્યમાં પવનનું જોર વધ્યું હતું તો સૌરાષ્ટ્રના લાલપુર,બગસરા પંથકમાં કરાં વરસવા સાથે અમરેલી જિલ્લામાં માવઠાં વરસ્યા હતા. ખેડૂતોમાં ખેતીનૌ તૈયાર પાક બગડવાની તેમજ વાવેતરને નુક્શાનની ચિંતા જન્મી છે.

લાલપુર પંથકમાં આજે બપોર બાદ હવામાન અચાનક પલટાયું હતું અને ગાજવીજ સાથે  અપીયા, ગોવાણા,ખાયડી સહિત વિસ્તારોમાં કરાં વરસ્યા હતા. બગસરા પંથકમાં વાદળિયા હવામાન વચ્ચે તીવ્ર પવન સાથે કરાં-વરસાદ વરસ્યો હતો અને બગસરા શહેરમાં પણ મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. અમરેલી જિ.ના વડિયા સહિત વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ થયો છે.

બીજી તરફ, રાજ્યમાં અનેક સ્થળે 20 કિ.મી.ની ઝડપે વંટોળિયા જેવો પવન ફૂંકાયો હતો જ્યારે મહત્તમ કચ્છ અને બનાસકાંઠા જિ.માં પવનની 35 કિ.મી.ની ઝડપ નોંધાઈ છે. 

આવતીકાલે, આજ કરતા વધુ તીવ્રતા સાથે, કલાકના 40-50 કિ.મી.ની ઝડપે મીની વાવાઝોડા તથા ગાજવીજ સાથે મોટાભાગના જિલ્લાઓમાં માવઠાંનું યલો એલર્ટ જારી કરાયું છે. રાજ્યમાં આ સાથે પશ્ચિમી દરિયાઈ પવનો શરૂ થતા સૌરાષ્ટ્રમાં રાજકોટ-સુરેન્દ્રનગર સિવાયના સ્થળે 34 સે.નીચે ઉતર્યું હતું. જ્યારે અમદાવાદ, કચ્છ,વડોદરા સહિત ગુજરાતમાં મહત્તમ 36  સે. અને સૌથી વધુ રાજકોટમાં 37.5 સે.તાપમાન નોંધાયું છે. મોસમ વિભાગે હાલ તાપમાન નીચું રહેવાની પરંતુ, સીસ્ટમ પસાર થયા બાદ બે દિવસ પછી ફરી વધવાની આગાહી કરી છે.