Get The App

અંબાજી, સોમનાથ અને દ્વારકાના યાત્રાધામમાં 5 વર્ષમાં 718 કરોડની આવક, મંદિરોના ભંડાર છલકાયા

Updated: Apr 25th, 2026

GS TEAM

Google News
Google News
અંબાજી, સોમનાથ અને દ્વારકાના યાત્રાધામમાં 5 વર્ષમાં 718 કરોડની આવક, મંદિરોના ભંડાર છલકાયા 1 - image


Gujarat Temple Donations: વર્તમાન સમયમાં જ્યારે વૈશ્વિક આર્થિક અસ્થિરતા અને ભારતીય બજારમાં મંદીનો માહોલ છે, ત્યારે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામોમાં ભક્તિનો પ્રવાહ આવી મંદીને પણ મ્હાત આપી રહ્યો છે. અંબાજી, સોમનાથ અને દ્વારકામાં છેલ્લા પાંચ વર્ષમાં કુલ 718 કરોડ રૂપિયાથી પણ વધુનું દાન મળ્યું છે. એટલું જ નહીં સોનાના દાનમાં પણ વધતા ભાવની કોઈ ખાસ અસર પડી નથી અને અંબાજી મંદિરમાં સોનાના દાનનો અવિરત પ્રવાહ ચાલુ છે. મંદીના માહોલમાં લોકો જરૂરિયાત સિવાયના અન્ય ખર્ચા પર કાપ મૂકતા હોય છે, તેની વચ્ચે આ આંકડા આર્થિક અસ્થિરતા પર આસ્થાનો વિજય થયો હોય તે સ્પષ્ટ કરી રહ્યું છે.

અંબાજી મંદિરમાં પાંચ વર્ષમાં 48.992 કિલો સોનાનું દાન મળ્યું

ભારતમાં કોરોના બાદ છેલ્લા પાંચેક વર્ષથી મંદીનો માહોલ છે. પરંતુ આશ્ચર્યજનક રીતે અંબાજી શક્તિપીઠ, સોમનાથ તેમજ દ્વારકા મંદિરમાં છેલ્લા પાંચ વર્ષમાં દાનની 718.91 કરોડ રૂપિયાની આવક થઈ છે. એટલું જ નહીં છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવમાં પણ સતત વધારો થતો હોવા છતાં અંબાજી મંદિરમાં પાંચ વર્ષમાં 48.992 કિલો સોનાનું દાન મળ્યું છે. જોકે વર્ષ 2022-23 અને 2024-25માં સોનાનું આશરે એક કિલો ઓછું દાન અપાયું હતું. 

અંબાજી, સોમનાથ અને દ્વારકાના યાત્રાધામમાં 5 વર્ષમાં 718 કરોડની આવક, મંદિરોના ભંડાર છલકાયા 2 - image

સોમનાથ અને દ્વારકા મંદિરમાં સોના-ચાંદીના દાનનો કોઈ હિસાબ જ ન હોય, તેમ વિગતો જાહેર કરાઈ નથી. આંકડો જાહેર ન કરવા પાછળ સુરક્ષાથી લઈ ઘણાં કારણો હોય શકે છે. પરંતુ દાનમાં મળતી ભેટ-સોગાદના આંકડા પરથી અંદાજ લગાવી શકાય છે કે ત્યાં ભેટમાં અપાતા સોના-ચાંદીનો આંકડો પણ તેટલો જ વિશાળ હોઈ શકે છે. ભૌતિક બજારમાં ભલે તેજી-મંદીનું ચક્ર ચાલ્યા કરે છે, પરંતુ ગુજરાતના આ યાત્રાધામોમાં તેજીનો માહોલ હંમેશા યથાવત્ રહે છે.