Get The App

વિપક્ષને મત આપશો તો કામ નહીં થાય: ચૂંટણીમાં ભાજપની આ 'ધમકી'એ પલટી નાંખી બાજી?

Updated: Apr 29th, 2026

GS TEAM

Google News
Google News
Gujarat Local Body Election Results 2026

Gujarat Local Body Election Results 2026: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર ભવ્ય વિજય મેળવીને કેસરીયો લહેરાવ્યો છે, પરંતુ આ જીતના પાયામાં દબાણ અને ડરની રાજનીતિ હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના નેતાઓ અને ઉમેદવારોએ મતદારોને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, 'સરકાર અમારી છે, એટલે કામ પણ અમારે જ કરવાના છે.' જો વિપક્ષને મત આપશો તો તે એળે જશે અને વિકાસના કામો અટકી પડશે તેવી રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રકારની રણનીતિને કારણે મતદારોમાં એક પ્રકારનો ફાળ પેસી ગયો અને અંતે ભાજપની જીતનો માર્ગ મોકળો થયો હતો.

રાષ્ટ્રીય મુદ્દાઓ પર સ્થાનિક પ્રશ્નો ભારે

બીજી તરફ, આ ચૂંટણીમાં મોંઘવારી અને બેરોજગારી જેવા રાષ્ટ્રીય કક્ષાના જ્વલંત મુદ્દાઓ સાવ ગૌણ બની ગયા હતા. શાસક પક્ષે રાષ્ટ્રીય પ્રશ્નોને બદલે સ્થાનિક મુદ્દાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું અને મતદારોને પાયાની સુવિધાઓ આપવાની ખાતરી આપી હતી. આ વ્યૂહરચના મતદારોના મનને સીધી રીતે સ્પર્શી ગઈ, જેના કારણે મોટા મુદ્દાઓ બાજુએ રહી ગયા અને સ્થાનિક પ્રશ્નોના નિરાકરણની આશાએ જનતાએ ભાજપના પક્ષમાં ભારે મતદાન કર્યું. આમ, ડર અને સ્થાનિક પ્રશ્નોના સચોટ મિશ્રણે ભાજપને વિજય અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

દબાણ અને ડરની રાજનીતિનો ખેલ

જો કે, ભાજપની આટલી મોટી જીત માટેના પરિબળો અને કારણોની ચર્ચા અને નોંધ લેવાનું શરૂ થયું છે ત્યારે તેમાં એક ફેક્ટર સરકારની દબાણ અને ડરની રાજનીતિનું પણ સામે આવી રહ્યું છે. આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અમદાવાદ સહિત રાજ્યના જુદા જુદા જિલ્લાઓ અને તાલુકાઓમાં ભાજપના ઉમેદવારોના સમર્થનમાં ચૂંટણી પ્રચારમાં ઉતરેલા સ્થાનિક આગેવાનોથી લઈને નેતાઓ અને કાર્યકરોએ મતદારોનું દબાણ અને ડરની રાજનીતિ સાથે બ્રેઈન વોશ કર્યું હતું.

આ પણ વાંચો: AMC Election: 50%થી ઓછું મતદાન હોવા છતાં ભાજપ કેવી રીતે જીત્યું? જાણો જીતનું અસલી ગણિત

ડરની રાજનીતિ અને મતદારોની મજબૂરી

જેમાં ભાજપના આગેવાનો-નેતાઓ અને સ્થાનિક ઉમેદવારોએ પ્રચારમાં જનતા સુધી ગયા ત્યારે તેમને એક રીતે થોડા ડરાવ્યા હતા કે, વિપક્ષને મત ના આપશો, વિપક્ષને મત આપીને શું કરશો. કારણ કે, વિપક્ષ જીતશે તો છેવટે કામ કોણે કરવાનું છે. સરકાર તો અમારી જ છે અને કામ તો છેવટે અમારે જ કરવાનું છે, તેથી ભાજપને જ મત આપજો નહીં તો વિપક્ષને આપેલો તમારો મત એળે જશે. તો કેટલાક વિસ્તારોમાં ભાજપના નેતાઓ અને સ્થાનિક આગેવાનોએ મતદારોને સરકારની ગ્રાંટમાંથી કામો નહીં કરવા સુધીની ચીમકીઓ આપી હતી, જેને લઇને મતદારો પણ પોતાના વિસ્તારોના કામ થાય તેવી આશાએ ભાજપ તરફી મતદાન કરવા જાણે મજબૂર બન્યા.

વિપક્ષને મત આપશો તો કામ નહીં થાય: ચૂંટણીમાં ભાજપની આ 'ધમકી'એ પલટી નાંખી બાજી? 2 - image