| (AI IMAGE) |
Gujarat Health Report: ગુજરાત આરોગ્ય ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યુ છે. એટલુ જ નહીં, દેશવિદેશના દર્દીઓ સારવાર મેળવવા ગુજરાત આવે છે તેવી ડીંગો હાંકવામાં આવી રહી છે પણ કડવી વાસ્તવિકતા એ છે કે, ગુજરાતમાં બીમારીઓ પર કાબૂ મેળવાયો નથી. છેલ્લાં ત્રણેક વર્ષમાં જ ગુજરાતમાં 36.46 લાખ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયાં હતાં. આ પરથી જાણે 'બિમાર ગુજરાત'ની ઓળખ પ્રસ્થાપિત થઈ છે.
સરેરાશ દર વર્ષે 12 લાખથી વધુ ગુજરાતીઓ બીમાર!
દર વર્ષે રાજ્ય સરકાર બજેટમાં આરોગ્ય પાછળ કરોડો રૂપિયા ફાળવે છે તેમ છતાંય ગુજરાતમાં આરોગ્યની સ્થિતી સારી નથી. ખુદ કેન્દ્રીય આરોગ્ય વિભાગે જ ગુજરાતની અસલિયતની પોલ ખોલી છે કેમકે, દર વર્ષે ગુજરાતમાં સરેરાશ એકાદ લાખ દર્દીઓ હોસ્પિટલના બિછાને પહોંચે છે.
3 વર્ષમાં 36.46 લાખ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા
આ તરફ, આરોગ્ય વિભાગ વિવિધ સિઘ્ધિઓ હાંસલ કરી દેખાડો કરે છે જ્યારે કેન્દ્રીય આરોગ્ય વિભાગના મતે, વર્ષ 2022-23માં 9.15 લાખ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા હતાં જ્યારે વર્ષ 2023-24માં હોસ્પિટલમાં દાખલ થનારાં દર્દીઓની સંખ્યા વધીને 12.80 લાખ થઈ હતી. વર્ષ 2024-25માં 14.51 લાખ દર્દીઓએ હોસ્પિટલમાં સારવાર મેળવી હતી. આમ ત્રણ વર્ષમાં કુલ મળીને 36.46 લાખ દર્દીઓ નોંધાયા હતાં.
આયુષ્માન કાર્ડના સહારે લાખો દર્દીઓ: 3 વર્ષમાં અબજોનો ખર્ચ
આયુષ્યમાન કાર્ડને કારણે દર્દીઓને 10 લાખ સુધીની મફત સારવાર મળી રહે છે ત્યારે ત્રણ વર્ષમાં હોસ્પિટલમાં દાખલ થયેલાં દર્દીઓની સારવાર પાછળ કુલ મળીને રૂ.10,132 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. દર્દીઓ જ નહી, સારવાર પાછળ થતાં ખર્ચમાં પણ દર વર્ષે લાખો કરોડોનો વધારો થઈ રહ્યો છે.

આ રોગોનું જોખમ સૌથી વધુ
સ્વસ્થ ગુજરાતના નારાં લાગી રહ્યાં છે ત્યારે ગુજરાતમાં દર્દીઓથી જાણે હોસ્પિટલો ઉભરાઇ રહી છે તેનું કારણ છે કે, બીમારીઓ પર કાબૂ મેળવી શકાયો નથી. કેન્સરથી માંડીને ડાયાબીટીસ, ચેપી રોગ ઉપરાંત કોલેરા, ટાઇફોઇડ, ચિકનગુનિયા, ડેન્ગ્યુ જેવા પાણીજન્ય રોગમાં ગુજરાત ટોપ પર છે. રાજ્ય સરકારે મેડિકલ ટુરિઝમને વેગ આપવાની વાતો કરે છે પણ રાજ્યમાં બીમારીઓનું પ્રમાણ વધી રહ્યુ છે તે મુદ્દે ગંભીર નથી.


