Get The App

અમરેલી: 'ખેતીનું આયોજન અને બજેટ બંને ખોરવાયા...', રાસાયણિક ખાતરના ભાવવધારાથી ખેડૂતોમાં ભારે રોષ

Updated: May 13th, 2026

GS TEAM

Google News
Google News
અમરેલી: 'ખેતીનું આયોજન અને બજેટ બંને ખોરવાયા...', રાસાયણિક ખાતરના ભાવવધારાથી ખેડૂતોમાં ભારે રોષ 1 - image

Gujarat Fertilizer Price Hike: ગુજરાતમાં રાસાયણિક ખાતરોના વધતા ભાવોને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દિનપ્રતિદિન ખેતીનો ખર્ચ વધતો જાય છે તેની સામે ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવો મળતા નથી. એવામાં ખાતરમાં કરવામાં આવેલા તોતિંગ ભાવ વધારાથી ખેડૂતોનું બજેટ ખોરવાઈ ગયું છે. તેમજ કમોસમી વરસાદ જેવી આફતોનો કારણે નુકસાન સહન વેઠવાનો વારો આવે છે. હવે ખાતરના વધેલા ભાવોના કારણે ખેડૂતો વધુ મુશ્કેલીમાં મુકાયા છે. આ દરમિયાન અમરેલી જિલ્લાના ખેડૂતોએ સરકારે વધારેલા ભાવો પરત ખેંચવાની માગ કરી રહ્યા છે.

ખાતરોના ભાવવધારાથી ખેતીનું આયોજન અને બજેટ બંને ખોરવાયા: ખેડૂતો

ખેડૂતોનું કહેવું છે કે, રાસાયણિક ખાતરોના ભાવોમાં છેલ્લા ઘણા સમયથી નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે ખેતીનો ખર્ચ વધતો જાય છે. એક તરફ પાકને યોગ્ય ભાવ મળતા નથી તો બીજી તરફ બિયારણ, દવાઓ અને ખાતરના વધતા ખર્ચે ખેડૂતોની આર્થિક સ્થિતિ નબળી બનાવી છે. કમોસમી વરસાદના ભારે પવન જેવી કુદરતી આફતોને કારણે પાકને નુકસાન થતું આવે છે અને હવે ખાતરના વધેલા ભાવો ખેડૂતો માટે વધુ એક આર્થિક માર સાબિત થઈ રહ્યા છે. ખાતર લેવા આવતા ખેડૂતો કહે છે કે, વધેલા ભાવોના કારણે ખેતીનું આયોજન અને બજેટ બંને ખોરવાઈ ગયા છે.

ટેકનિકલ મુશ્કેલીઓથી પણ ખેડૂતોને હાલાકી

ખાતરના ભાવ વધારાની સાથે ખેડૂતોને ખાતર વિક્રેતાની ત્યાં ટેકનિકલ મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. ખાતર લેવા માટે આધાર કાર્ડ અને ફિંગરપ્રિન્ટ ફરજિયાત કરવામાં આવ્યા છે. પરંતુ ઘણી વખત સર્વર ડાઉન રહેતા ખેડૂતોને કલાકો સુધી રાહ જોવી પડે છે. જેમાં અનેક વખત ફિંગરપ્રિન્ટ મેચ ન થતાં ખાતર મળવામાં વિલંબ થાય છે. ખેડૂતોનું કહેવું છે કે, 'સરકાર એક તરફ ભાવ વધારો કરે છે અને બીજી તરફ જરૂરી ખાતર મેળવવાની પ્રક્રિયા પણ મુશ્કેલ બનાવી દેવામાં આવી છે.'

તમને જણાવી દઈએ કે, છેલ્લા બે મહિનામાં વિવિધ ખાતરના ભાવોમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. સરદાર કંપનીના 20-20-13 ખાતરનો ભાવ અગાઉ 1550 રૂપિયા હતો, જે હવે વધીને 2250 રૂપિયા થયો છે. એમોનિયમ સલ્ફર એટલે કે મોરોસિયુ ખાતરનો ભાવ 950 રૂપિયાથી વધીને 1400 રૂપિયા પહોંચ્યો છે. જ્યારે મહાધન કંપનીના 20-20-13 ખાતરનો ભાવ 1800 રૂપિયાથી વધીને 2100 રૂપિયા થયો છે. 

આ પણ વાંચો: મોંઘવારીનો વધુ એક માર, અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2 નો વધારો, આજે મધરાતથી નવા ભાવ લાગુ

હાલમાં સરદાર ડીએપીનો ભાવ 1350 રૂપિયા અને યુરિયાનો ભાવ 266 રૂપિયા 50 પૈસા યથાવત છે. છેલ્લા ઘણા સમયથી અનેક ખાતર વિક્રેતાઓ પાસે પૂરતો જથ્થો પહોંચતો નથી, જેના કારણે ખેડૂતોને ડીએપી અને યુરિયા જેવા જરૂરી ખાતર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ખાતરના ભાવોમાં વધારો તાત્કાલિક પરત ખેંચે

ખેડૂતોની માગ છે કે, સરકાર વધારેલા ખાતરના ભાવો તાત્કાલિક પરત ખેંચે અને ખાતર વિતરણની પ્રક્રિયા સરળ બનાવે. આમ, ખેતી ખર્ચ સતત વધી રહ્યો છે ત્યારે અમરેલી જિલ્લાના ખેડૂતોએ રાહત આપવાના પગલાં લેવાની માગ કરી છે.