Gujarat

દુષ્કાળના ભણકારા વચ્ચે ગુજરાત સરકારનો નિર્ણય, બે જિલ્લામાં સૌની યોજના મારફતે પાણી પહોંચાડાશે

By GS Team
29 Aug 20262 mins read
TukuTouch Logo
દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં વરસાદની ઘટ્ટને કારણે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્ય સરકારે ખેડૂતો અને સ્થાનિકોની ચિંતા દૂર કરવા સૌની યોજના દ્વારા મચ્છુ-2 જળાશયમાંથી પાણી પૂરું પાડવાનો નિર્ણય કર્યો છે. હાલ 600 ક્યુસેક પાણી ઉપાડી, પીવાના પાણીને પ્રાધાન્ય અપાશે અને બાકીનું સિંચાઈ માટે વપરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

દુષ્કાળના ભણકારા વચ્ચે ગુજરાત સરકારનો નિર્ણય, બે જિલ્લામાં સૌની યોજના મારફતે પાણી પહોંચાડાશે

SAUNI Scheme Water Supply In Devbhumi Dwarka-Jamnagar: ગુજરાતમાં આ વર્ષે વરસાદ પાછો ખેંચાતા કચ્છ અને સૌરાષ્ટ્ર સહિતના જિલ્લામાં 30 ટકાથી વધુ વરસાદની ઘટ જોવા મળી છે. જેમાં સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર સહિતના વિસ્તારોમાં વરસાદની અછતને પગલે ખેડૂતો-સ્થાનિકો ચિંતામાં મૂકાયા છે. દુષ્કાળ જેવી સ્થિતિને પગલે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં સૌની યોજના મારફતે પાણી આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

દુષ્કાળના ભણકારા વચ્ચે સરકારનો નિર્ણય

સૌરાષ્ટ્રના દ્વારકા અને જામનગર સહિતના વિસ્તારોમાં સ્થાનિક ડેમો મારફતે સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવતું હોય છે, પરંતુ વર્તમાન સમયે ઓછો વરસાદ હોવાના કારણે નર્મદા બેસીનમાં પણ પાણી સામાન્ય સંગ્રહ કરતા ઓછું છે. તેવામાં નાગરિકો તથા ખેડૂતોના મુશ્કેલીમાં મૂકાયા છે.

વરસાદ ખેંચાતા દુષ્કાળગ્રસ્ત સ્થિતિને પગલે દ્વારકા અને જામનગર માટે સૌની યોજનાની પાઇપલાઇન દ્વારા મચ્છુ-2 જળાશયમાંથી પાણી પૂરું પાડવામાં આવશે.

બે જિલ્લામાં સૌની યોજના મારફતે પાણી પહોંચાડાશે

રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં સૌની લીન્ક-1 મારફતે 600 ક્યુસેક પાણી ઉપાડવામાં આવી રહ્યું છે. આ ઉપાડવામાં આવેલા પાણીમાંથી સૌથી પહેલા પીવાના પાણીને પ્રાધાન્ય આપવામાં આવશે અને ત્યારબાદ બાકી રહેતું પાણી ખેતી તથા સિંચાઈ માટે પૂરું પાડવામાં આવશે.

ખંભાળિયામાં AAPએ વિરોધ નોંધાવ્યો હતો

દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ સાથે ખંભાળિયા ખાતે AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી સહિતના કાર્યકર્તાઓ ધરણા પર બેઠા હતા. ચોમાસાની સિઝન પૂરી થવાને આરે છે, ત્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર સહિતના જિલ્લામાં વરસાદની અછત વર્તાઈ રહી છે. વરસાદની મોટી ઘટને પગલે ખંભાળિયામાં 'દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ' હેઠળ શરૂ કરાયેલા ધરણા પ્રદર્શનને ખેડૂતોએ સમર્થન આપી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

image.png