Get The App

ગુજરાતમાં ગ્રાહક સુરક્ષાની દુર્દશા: 45,000થી વધુ કેસો પેન્ડિંગ, પ્રમુખ-સભ્યોની 48 ખાલી જગ્યાઓ ભરવા માગ

Updated: Jun 1st, 2026

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં ગ્રાહક સુરક્ષાની દુર્દશા: 45,000થી વધુ કેસો પેન્ડિંગ, પ્રમુખ-સભ્યોની 48 ખાલી જગ્યાઓ ભરવા માગ 1 - image

Gujarat Consumer Courts Face 48 Vacancies Delayed: ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશન અને જિલ્લા ગ્રાહક અદાલતોમાં પ્રમુખ તેમજ સભ્યોની મોટાપાયે ખાલી પડેલી જગ્યાઓને કારણે ગ્રાહકોને સમયસર ન્યાય મળવો મુશ્કેલ બન્યો છે. ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિના રાષ્ટ્રીય પ્રમુખ મુકેશ પરીખે આ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે, રાજ્ય સરકાર તરફથી હોદ્દાદારોની નિયુક્તિ કરવામાં ભારે વિલંબ થતાં સ્ટેટ કમિશનના પ્રમુખ તરીકે લાંબા સમયથી કાર્યકારી પ્રમુખથી ચલાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, સમગ્ર ગુજરાતની 26 જેટલી ગ્રાહક કોર્ટમાં પ્રમુખ અને સભ્યોની જગ્યાઓ ખાલી હોવાથી ન્યાયિક પ્રક્રિયા ખોરવાઈ ગઈ છે. ગુજરાતમાં 45,000થી વધુ કેસો પેન્ડિંગ, જે ગ્રાહક સુરક્ષાની દુર્દશાની સ્થિતિ પ્રદર્શિત કરે છે. તેવામાં પ્રમુખ-સભ્યોની 48 ખાલી જગ્યાઓ ભરવાની માગ કરવામાં આવી છે. 

ગ્રાહક સુરક્ષા સમિતિના અંદાજ મુજબ, સ્ટેટ કમિશનમાં પ્રમુખની જગ્યા ખાલી છે, જ્યારે 6 જિલ્લાઓમાં પ્રમુખની જગ્યાઓ કાર્યકારી પ્રમુખથી ચલાવાય છે. તેમજ અન્ય જિલ્લાઓમાં પણ પ્રમુખની નિયમિત જગ્યાઓ ન ભરાતા ગ્રાહકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે ગ્રાહક અદાલતોમાં કેસોનો ભરાવો સતત વધી રહ્યો છે. ગ્રાહકોના હિતમાં ન્યાયી અને ઝડપી આઇનનું પાલન થાય તે માટે ખાલી જગ્યાઓ તાકીદે ભરવી અનિવાર્ય બની છે.

કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ ખાલી

- સ્ટેટ કમિશન (ગુજરાત) પ્રમુખ (મેમ્બર)ની 1 જગ્યા ખાલી

- અમદાવાદ શહેરના ગ્રાહક કમિશન પ્રમુખ અને સભ્યોની જગ્યાઓ ખાલી.

- અમરેલી, આણંદ, જામનગર, જૂનાગઢ, મહીસાગર, પંચમહાલ, આ 6 જિલ્લાઓમાં પ્રમુખની જગ્યા કાર્યકારી પ્રમુખ હેઠળ.

- પોરબંદર, ડાંગ, મોરબી, સોમનાથ, તાપી, દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં પ્રમુખની નિયમિત જગ્યાઓ ખાલી.

- બોટાદ, છોટાઉદેપુર, અરવલ્લી, નર્મદા જિલ્લાઓમાં ઇન્ચાર્જથી વહીવટ ચલાવાય છે.

- રાજ્યભરમાં સ્ટેટ/જિલ્લા કમિશનમાં કુલ 48 બિનસરકારી સભ્યોની જગ્યા ખાલી છે.

45 હજારથી વધુ કેસો પેન્ડિંગ, ગ્રાહકો ન્યાયથી વંચિત

મુકેશ પરીખ દ્વારા રજૂ કરાયેલા આંકડા અનુસાર, સમગ્ર ગુજરાતમાં જિલ્લા કમિશનો અને સ્ટેટ કમિશનમાં થઈને હજારો કેસો વર્ષોથી લંબાઈ રહ્યા છે. ગ્રાહક સુરક્ષા કાયદાની જોગવાઈ મુજબ ગ્રાહકોના કેસોનો નિકાલ 90 દિવસથી 150 દિવસની મર્યાદામાં થવો જોઈએ, પરંતુ સ્ટાફ અને હોદ્દાદારોના અભાવે આ લક્ષ્યાંક માત્ર કાગળ પર રહ્યો છે. વડોદરામાં 3,973, આણંદમાં 3,243, અમદાવાદમાં 16,135 અને સ્ટેટ કમિશનમાં 11,995 જેટલા કેસો પેન્ડિંગ હોવાની વિગતો સામે આવી છે. 

તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે, અદાલતોમાં ન્યાયિક અધિકારીઓની અછત એ ગ્રાહક સુરક્ષા ધારાની મૂળ ભાવના વિરુદ્ધ છે. તેમણે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનો હવાલો આપીને રાજ્ય સરકારને વિનંતી કરી છે કે, વહીવટી પ્રક્રિયાઓ ઝડપી બનાવીને ખાલી પડેલી તમામ 2,460 ગણતરીદારો અને સુપરવાઇઝરોની કાનૂની સંરચનાને ધ્યાને રાખી અદાલતોમાં તાકીદે કાયમી અને સક્ષમ હોદ્દાદારોની નિમણૂંક કરવામાં આવે. જેથી પીડિત ગ્રાહકોને વહેલામાં વહેલી તકે વ્યાજબી ન્યાય મળી શકે.