GUJCTOC Amendment Bill 2026: ગુજરાત વિધાનસભામાં ‘ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ (સુધારા) વિધેયક-૨૦૨૬’ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે. આ સુધારા મુજબ, હવે રાજ્યના મૂળ GUJCTOC કાયદામાંથી આતંકવાદી કૃત્યોને લગતી જોગવાઈઓ દૂર કરવામાં આવી છે. હવેથી આતંકવાદ સંબંધિત ગુનાઓની તપાસ કેન્દ્ર સરકારના નવા કાયદા ‘ભારતીય ન્યાય સંહિતા’ (BNS) હેઠળ કરવામાં આવશે.
કાયદાકીય ફેરફારનું કારણ
રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, 2015માં જ્યારે GUJCTOC અમલમાં આવ્યો ત્યારે તેમાં આતંકવાદ અને સંગઠિત ગુના બંનેનો સમાવેશ થતો હતો. જોકે, કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી ‘ભારતીય ન્યાય સંહિતા-2023’ (BNS) ની કલમ 113માં આતંકવાદ વિરોધી કડક જોગવાઈઓ પહેલેથી જ સામેલ છે. એક જ ગુના માટે બે અલગ-અલગ કાયદા હેઠળ તપાસ ન થાય તે હેતુથી આ ફેરફાર કરવામાં આવ્યો છે.
સંગઠિત ગુનાઓ પર જ ધ્યાન કેન્દ્રિત રહેશે
આ સુધારા બાદ હવે GUJCTOC કાયદો મુખ્યત્વે ‘સંગઠિત ગુનાઓ’ પર કેન્દ્રિત રહેશે. રાજ્યમાં ગેંગસ્ટરો, ખંડણીખોરો અને સંગઠિત માફિયાઓ સામેની કાર્યવાહી આ કાયદા હેઠળ યથાવત રહેશે, જ્યારે આતંકવાદી પ્રવૃત્તિઓ માટે BNS ની કલમો લાગુ પડશે.
નવા કાયદાકીય સંદર્ભોનો અમલ
જૂના IPC (1860) ના સ્થાને હવે BNS અમલી બન્યું છે. આ સુધારા વિધેયક દ્વારા 'Code of Criminal Procedure' (CrPC) ના સ્થાને નવી ‘ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023’ (BNSS) ના સંદર્ભોનો અમલ પણ સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. આ ફેરફારનો ઉદ્દેશ્ય ન્યાયિક પ્રક્રિયામાં સ્પષ્ટતા લાવવાનો અને ડુપ્લિકેશન અટકાવવાનો છે.


