Ahmedabad News : સમૃદ્ધ ગુજરાતમાં ગરીબાઇ ચરમસીમાએ પહોચી છે. તેનુ કારણ એછેકે, 3.65 કરોડ લોકો મફત અનાજ લેવા મજબૂર છે. આ પરથી ગુજરાતમાં લોકોની આર્થિક પરિસ્થિતીનો અંદાજ મેળવી શકાય તેમ છે. છેલ્લાં છ વર્ષમાં ગુજરાતમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 1.22 કરોડ ટન મફત અનાજ વહેચવામાં આવ્યુ હતુ. કરુણતા એછેકે, શરમજનક સ્થિતી હોવા છતાંય ગુજરાત સરકાર આ મુદ્દાને પણ સિદ્ધિ ગણાવી રહી છે. ગુજરાતમાં 3.65 કરોડ લોકો મફત અનાજ મેળવવા વ્યાજબી ભાવની દુકાને લાઇનોમાં ઉભા રહેવા મજબૂર છે.
ગુજરાત મોડલની વરવી વાસ્તવિકતા
વાઇબ્રન્ટ ગુજરાતમાં લોકોની માથાદીઠ આવક વધી છે. રોજગારીની ભરપુર તકો રહેલી છે. ઉદ્યોગ માટે ગુજરાત શ્રેષ્ઠ સ્ટેટ બન્યુ છે. આવા તકીયાકલામ થકી ઘુમ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની સંખ્યા વધી રહી છે. આ જોતાં અન્ન પુરવઠા વિભાગે રેશનકાર્ડ રદ કરવાની મુહિમ ચલાવી હોવા છતાંય મફત અને રાહતદરે અનાજ લેનારાંની સંખ્યા પણ ઓછી થઇ નથી. ખુદ કેન્દ્રીય અન્ન પુરવઠા વિભાગે જ સંસદમાં આંકડા રજૂ કર્યા કે, ગુજરાતમાં આજની તારીખે 3.65 કરોડ લોકો મફત અનાજ લે છે. વર્ષ 2021-22 માં 3.41 કરોડ લોકોએ મફત અનાજ મેળવ્યુ હતું. તે સંખ્યા વધીને વર્ષ 202526 માં 3.65 કરોડ સુધી પહોંચી છે. આમ લોકોની આર્થિક સ્થિતી સુધરી છે તે વાતનો પરપોટો ફૂટ્યો છે.
આ પણ વાંચો : રશિયા અંગે બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી પડી! જો સુનામી આવશે તો ભારત સુધી અસર થશે
અડધુ ગુજરાત રાહતદરનું અનાજ ખાય છે
અડધોઅડધ ગુજરાત મફત અનાજ પર નિર્ભર છે. આવી શરમજનક સ્થિતી હોવા છતાંય સરકાર સિદ્ધિના ગાણાં ગાઇ રહી છે. ગુજરાતમાં દર વર્ષે સરેરાશ 20 લાખ ટન મફત અને રાહતદરે ખાંડ, ચોખા, ઘઉં, તેલ, વ્યાજબી ભાવની દુકાનો પર વિતરણ કરવામાં આવી રહ્યુ છે. મફત અનાજ માટે કેન્દ્ર સરકારે ગુજરાતને વર્ષ 2020-21થી માંડીને વર્ષ 2025-26 સુધીમાં કુલ મળીને રૂ. 1476 કરોડ સબસિડી ફાળવી હતી. જોકે, વર્ષ 2023-24ની સરખામણીએ વર્ષ 2024-25 માં રૂ.100 કરોડ ઓછી સબસિડી ગુજરાતને ફાળવવામાં આવી હતી. ટૂંકમાં, ગુજરાતમાં ગરીબીનું ચિત્ર વઘુને વઘુ બિહામણું બની રહ્યુ છે.
| વર્ષ | કેટલાં ટન અનાજ મફત-રાહતદરે વહેંચાયું |
| 2020 | 1,543,968 |
| 2021 | 2,053,503 |
| 2022 | 2,112,418 |
| 2023 | 2,135,677 |
| 2024 | 21,951,019 |
| 2025 | 2,067,884 |
| 2026 | 166,190 |


