Gujarat

લોકોને પુરતા પ્રેસરથી પાણી આપો મ્યુ.કોંગ્રેસે માટલા સાથે પાણી પ્રશ્ને મેયરને આવેદનપત્ર આપ્યું

By GS Team
22 Mar 20221 min read
This article was originally published on 22 Mar 2022
લોકોને પુરતા પ્રેસરથી પાણી આપો મ્યુ.કોંગ્રેસે માટલા સાથે પાણી પ્રશ્ને મેયરને આવેદનપત્ર આપ્યું

  અમદાવાદ,મંગળવાર,22 માર્ચ,2022

વર્લ્ડ વોટર ડે નિમિત્તે મ્યુનિ.કોંગ્રેસના કોર્પોરેટરોએ પાણીના ખાલી માટલા સાથે શહેરીજનોને પુરતા પ્રેસરથી પાણી આપવાની માંગ સાથે મેયરને આવેદનપત્ર આપ્યુ હતું.વિપક્ષ તરફથી શહેરીજનોને ૨૪ કલાક પાણી આપવાની દસ વર્ષથી કરાતી જાહેરાત કાગળ ઉપર હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

મ્યુનિ.ની દાણાપીઠ ખાતે આવેલી મુખ્ય કચેરી ખાતે વિપક્ષ નેતા શહેજાદખાન પઠાણની આગેવાનીમાં કોંગ્રેસના કોર્પોરેટરો પાણીના ખાલી માટલા સાથે પહોંચતા કચેરીના તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા.પાણી આપોના સૂત્રોચ્ચારની વચ્ચે કોંગ્રેસના કોર્પોરેટરો મેયર કિરીટ પરમાર પાસે પહોંચ્યા હતા.જયાં શહેરના કોટ વિસ્તાર સહિત અન્ય વિસ્તારોમાં રહેતા લોકોને પીવાનુ ચોખ્ખુ પાણી પુરુ પાડવામાં સત્તાધારી પક્ષ નિષ્ફળ નિવડયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.૧૦૦ ટકા વોટર નેટવર્કની જાહેરાતની વચ્ચે આજે પણ નો વોટર ઝોનમાં રહેતા લોકોને પીવાનુ પાણી મેળવવા બોરવેલ આધારીત રહેવુ પડે છે.ભૂગર્ભ જળના સ્તર નીચે જઈ રહ્યા છે.લોકો પ્રદૂષિત પાણી પીતા હોવાથી અનેકવિધ બીમારીનો શિકાર બની રહ્યા છે.ઉનાળાનો આરંભ થયો છે આ પરિસ્થિતિમાં શહેરીજનોને પુરતા પ્રેસરથી પાણી મળે એ માટે નકકર આયોજન કરવા મેયરને અપીલ કરવામાં આવી હતી.