Get The App

ગીર સોમનાથ જિલ્લામાં પહેલીવાર 'એમ્બરગ્રીસ' સાથે ઝડપાઈ ટોળકી, ભાવનગર અને સુરતના 4 શખ્સોની ધરપકડ

Updated: Dec 17th, 2025

GS TEAM

Google News
Google News
ગીર સોમનાથ જિલ્લામાં પહેલીવાર 'એમ્બરગ્રીસ' સાથે ઝડપાઈ ટોળકી, ભાવનગર અને સુરતના 4 શખ્સોની ધરપકડ 1 - image


Gir Somnath News: ગીર ગઢડા તાલુકામાં વ્હેલ માછલીની ઉલ્ટી(એમ્બરગ્રીસ)ના દાણચોરો પકડાયા છે. દ્રોણ ચોકડી પાસેથી 19 ગ્રામ એમ્બરગ્રીસ સાથે ચાર શખ્સોની ટોળકીને પોલીસ દ્વારા ઝડપી લેવાઈ છે. વધુ કાર્યવાહી માટે આરોપીઓને મુદ્દામાલ સાથે જસાધાર વન વિભાગને સોંપવાની તૈયારી કરવામાં આવી છે. પ્રાથમિક વિગતો અનુસાર પહેલી વાર ગીર સોમનાથ જિલ્લામાં એમ્બરગ્રીસની હેરાફેરી પકડાઈ છે. પકડાયેલા ચાર શખ્સોમાંથી ભાવનગરના ત્રણ અને સુરતનો એક ઈસમ સામેલ છે. કાર મારફતે તેઓ 19 ગ્રામ વ્હેલ માછલીની ઉલ્ટી(Ambergris)ની ગેરકાયદેસર હેરાફેરી કરતા હતા જેની કિંમત લાખોમાં છે.

3થી 7 વર્ષ સુધીની જેલ થઈ શકે

વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન ઍક્ટ હેઠળ વ્હેલ પણ સંરક્ષિત પ્રાણી હોય તેનો શિકાર કરી શકાય નહીં. વધુમાં તેના હાડકાં, વાળ, કે પછી તેની ઉલટીનો પણ કારોબાર કરી શકાતો નથી. મૂળ મુદ્દે તે પ્રતિબંધિત છે. જેથી શિડ્યુલ 1 અંતર્ગત ત્રણ વર્ષથી લઈ 7 વર્ષ સુધીની જેલ પણ થઈ શકે છે. 

તરતું સોનું પણ કહેવામાં આવે છે

વ્હેલ માછલીની ઉલ્ટી અથવા એમ્બરગ્રીસનું વેચાણ વન્ય જીવ સંરક્ષણ અધિનિયમ 1972ની હેઠળ પ્રતિબંધિત છે. સર્પ્મ વ્હેલ માછલી આ પદાર્થ બનાવે છે. આ પદાર્થને 'ગ્રે એમ્બર' અથવા ફ્લોટિંગ ગોલ્ડ એટલે કે તરતું સોનું પણ કહેવામાં આવે છે. તેને વિશ્વની સૌથી અનોખી ઘટનાઓમાંથી એક માનવામાં આવે છે.  

શું હોય છે વ્હેલની ઉલ્ટી?

આ પદાર્થને વ્હેલની ઉલ્ટી કહેવામાં આવે છે પરંતુ આ સાચું નથી. હકીકતમાં એમ્બરગ્રીસનો અર્થ ફ્રેન્ચમાં 'ગ્રે અંબર' થાય છે. તે મીણ જેવો એક પદાર્થ હોય છે જે સ્પર્મ વ્હેલના પાચનતંત્રમાં બને છે. સ્પર્મ વ્હેલ એક સંરક્ષિત પ્રજાતિ છે. આ પદાર્થ વ્હેલના પાચનતંત્રમાં બનતો હોવાથી તેને ઉલ્ટી કહેવામાં આવે છે. આ વિશે હજુ પણ વિજ્ઞાન સંપૂર્ણ વિશ્વાસ સાથે નથી કહી શકતું કે એમ્બરગ્રીસ કેવી રીતે બને છે. એક સિદ્ધાંત કહે છે કે, વ્હેલ જ્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં સમુદ્રી જીવ ખાઈ લે છે અને તેનો આકાર મોટો હોય છે ત્યારે તેને પચાવવા માટે વ્હેલના આંતરડાઓમાં આ પદાર્થ બને છે. 

આ પણ વાંચો: સાવરકુંડલામાં 'વિકાસ'ની દુર્ગંધ! મુખ્ય બજાર-ભાજપના નેતાના ઘર પાસે જ ગટરના પાણીની રેલમછેલ, તંત્રના વાંકે રોગચાળાનો ભય

એમ્બરગ્રીસ વ્હેલ માછલીના શરીરમાંથી બહાર કઈ રીતે નીકળે છે તેની પણ અનેક રીતો હોય છે. ઘણી વખત તે ગુદા દ્વારા બહાર નીકળે છે અને તેનો રંગ મળ જેવો હોય છે. તેમાં મળની તીવ્ર ગંધ પણ હોય છે જેમાં દરિયાની ગંધ પણ ભળેલી હોય છે. જ્યારે તે વ્હેલના શરીરમાંથી નીકળે છે ત્યારે તેનો રંગ આછો પીળો હોય છે અને તે જાડી ચરબી જેવી હોય છે. જો કે સમયની સાથે તે ઘાટી લાલ રંગની અને ઘણી વખત કાળી અથવા રાખોડી રંગની પણ બની જાય છે. ત્યારે તેની ગંધ માટી જેવી થઈ જાય છે. 

આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોમાં કિંમત

આંતરરાષ્ટ્રીય બજારમાં એમ્બરગ્રીસની કિમત 1થી 2 કરોડ રૂપિયા કિલો સુધીની હોઈ શકે છે. તેની કિમત તેની શુદ્ધતા અને ગુણવત્તા ઉપર આધાર રાખે છે. જાણકારો જણાવે છે કે, આ ખૂબ જ દુર્લભ વસ્તુ છે તેથી તેની કિમત ખૂબ જ ઊંચી છે. પરંપરાગત રીતે એમ્બરગ્રીસનો ઉપયોગ પર્ફ્યુમ બનાવવા કરવામાં આવે છે. જો કે પહેલા તેનો ઉપયોગ ખાવામાં, તમ્બાકુ અને આલ્કોહોલમાં ફ્લેનર માટે પણ કરવામાં આવતો હતો. એક ધારણા એ પણ છે કે એમ્બરગ્રીસ જાતીય શક્તિ વધારે છે. તેથી પણ આ પદાર્થની ખૂબ જ માંગ રહે છે અને ખૂબ જ ઊંચા ભાવે ખરીદવામાં આવે છે. મધ્ય પૂર્વ, પૂર્વી યુરોપ અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં તેની ખૂબ જ માંગ છે. એમ્બરગ્રીસ લગભગ 40 દેશોમાં પ્રતિબંધિત છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ભારત જેવા દેશોમાં તેને રાખવી અને તેનો વ્યાપાર સંપૂર્ણ રીતે પ્રતિબંધિત છે. ભારતમાં સ્પર્મ વ્હેલ એક સંરક્ષિત પ્રજાતિ છે અને તેનાથી બનનારા તમામ ઉત્પાદનોને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. જો કે ભારતના તટીય રાજ્યો, ખાસ કરીને મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં તેનો વ્યાપાર વધ્યો છે.