Gujarat

ગાંધીનગરમાં હચમચાવતી ઘટના, મનપાની બે કર્મચારીએ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી

By GS TEAM
7 Mar 20262 mins read
TukuTouch Logo
ગાંધીનગરમાં ગત રાત્રે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (GMC) માં સાથે ફરજ બજાવતી બે યુવતીઓએ નભોઈ કેનાલમાં ઝંપલાવીને પોતાનું જીવન ટૂંકાવતા ચકચાર મચી છે. આ સામુહિક આપઘાતની ઘટનાથી સમગ્ર સચિવાલય અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારી આલમમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગાંધીનગરમાં હચમચાવતી ઘટના, મનપાની બે કર્મચારીએ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી

Gandhinagar News : ગાંધીનગરમાં ગત રાત્રે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (GMC) માં સાથે ફરજ બજાવતી બે યુવતીઓએ નભોઈ કેનાલમાં ઝંપલાવીને પોતાનું જીવન ટૂંકાવતા ચકચાર મચી છે. આ સામુહિક આપઘાતની ઘટનાથી સમગ્ર સચિવાલય અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારી આલમમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

કેનાલમાં પડતા પહેલા પરિવારને કર્યો હતો ફોન

મળતી માહિતી મુજબ, મૃતક યુવતીઓની ઓળખ સેજલ જશવંતભાઈ પટેલ અને રિપલ રાકેશભાઈ રાવત તરીકે થઈ છે. આ બંને યુવતીઓ ગઈકાલે રાત્રે નભોઈ કેનાલ પર પહોંચી હતી. આત્મઘાતી પગલું ભરતા પહેલા બંનેએ પોતપોતાના પરિવારજનોને ફોન કરીને પોતે આપઘાત કરવા જઈ રહી હોવાનું જણાવ્યું હતું. અચાનક આવેલા આ ફોનથી ગભરાયેલા પરિવારો તાત્કાલિક કેનાલ પર પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરી હતી.

આ પણ વાંચો : સુરતના ડીંડોલીમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળતાં ચકચાર

ઝુંડાલ કેનાલમાંથી મળ્યા મૃતદેહ

બનાવની જાણ થતા જ અડાલજ અને ગાંધીનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. રાત્રિના અંધકારમાં જ ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે કેનાલમાં શોધખોળ શરૂ કરી હતી. પાણીનો પ્રવાહ વધુ હોવાથી બંને યુવતીઓ તણાઈ ગઈ હતી. જેના કારણે કલાકોના સર્ચ ઓપરેશન બાદ છેક ઝુંડાલ કેનાલ પાસેથી તેમના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસે બંને લાશનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે.

આત્મહત્યા પાછળનું કારણ હજુ અકબંધ

આ બંને યુવતીઓ જીએમસી (GMC) માં સાથે નોકરી કરતી હતી અને તેમની વચ્ચે ગાઢ મિત્રતા હતી. જોકે, તેમણે આટલું આત્યંતિક પગલું કેમ ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ ચલાવાઇ રહી છે. 

નોકરીનું ભારણ, અંગત સમસ્યા કે પછી બીજુ કોઇ કારણ

યુવતીઓના આપઘાત પાછળના કારણો અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે. જેમાં કામનું ભારણ, પારિવારિક સમસ્યાઓ કે પછી બીજા કોઇ કારણથી આવું પગલું ભર્યું તે મામલે તપાસ ચલાવાઇ રહી છે. અડાલજ પોલીસે તપાસ શરૂ કરી છે. હાલમાં અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બે આશાસ્પદ યુવતીઓના એકસાથે મોતના સમાચારથી તેમના પરિવારોમાં માતમ છવાઈ ગયો છે.

મૃતક યુવતીઓનાં નામ

1. સેજલબેન જશવંતભાઈ પટેલ( ઉંમર વર્ષ 26)

2. રિપલબેન રાકેશભાઈ રાવળ ( ઉંમર વર્ષ 24)