Gandhinagar News: ગુજરાતમાં ભ્રષ્ટાચારીઓ સામે લાલ આંખ કરતા લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (એન્ટી કરપ્શન બ્યુરો, ACB) દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગત 15 માર્ચ 2026ના રોજ અમદાવાદ રિજીયન સ્થિત સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરો (SIB)ના સિનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર કેતન ગીરીશભાઈ દવે વિરુદ્ધ ગાંધીનગર ACBએ લાંચ અને અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી હતી. જે બાદ ગઇકાલે 17 માર્ચે મહેસાણા ACB દ્વારા પણ તપાસ કરવામાં આવતા ગાંધીનગરની એક ખાનગી બેન્કના લોકરમાંથી મોટી રકમ મળી આવી હતી.
સીનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર લાંચ લેતા ACBની ઝપેટમા
સાણંદ સેન્ટરના સિનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર કેતન ગીરીશભાઈ દવેએ એક જાગૃત નાગરિકના પોલીસ પ્રોટેક્શનને રીન્યુ કરવા માટે પોઝિટિવ અભિપ્રાય આપવાના બદલામાં 80,000 રૂપિયાની માંગણી કરી હતી, જે રકમ સ્વીકારતા જ ACBની ટીમે કેતનને 15 માર્ચે દબોચી લીધો હતો. ગુજરાતમાં આ કદાચ IBનો પ્રથમ PI હશે જે લાંચ લેતા ACBના હાથે ઝડપાયો હોય.
80,000ની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપી પાડ્યો હતો
આ દરમિયાન ગાંધીનગરના સરગાસણ ચોકડી પાસે આવેલા સૌરાષ્ટ્ર ગાંઠીયા રથની સામે રોડ પર જ્યારે ફરિયાદી પોતાની ગાડીમાં હાજર હતા, ત્યારે આરોપી કેતન ત્યાં પહોંચ્યો હતો. બાદમાં ગાડીની અંદર જ આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી હતી. જેવી આરોપીએ 80,000ની રકમ હાથમાં લીધી તેવી જ વોચમાં રહેલી ACBની ટીમ ત્રાટકીને તેને રંગેહાથ પકડી લીધો હતો.
બેન્ક લોકરમાંથી 'ભ્રષ્ટાચારી' ખજાનો મળ્યો
જે બાદ મહેસાણા એસીબીએ ગાંધીનગરમાં આવેલી એક બેન્કના લોકરનું ચેકિંગ કર્યું હતું. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, કેતન દવેએ પોતાની કાયદેસરની આવકના સ્ત્રોત કરતા વધુ સંપત્તિ ભેગી કરી હતી. એસીબીએ આપેલી સત્તાવાર જાણકારી મુજબ અધિકારીના બેન્ક લૉકરમાંથી 346 ગ્રામ સોનું, 2 કિલો 536 ગ્રામ ચાંદીના દાગીના, તેમજ સિક્કા, બિસ્કિટ અને રોકડ મળીને રૂ. 51,82,444/ જેટલી રકમની ચીજ વસ્તુઓ મળી આવી છે.
લાંચ લઈને અપ્રમાણસર મિલકત ભેગી કરી?
આ મામલે એસીબી દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-1988 (સુધારો-2018) ની કલમ 13(1)(બી) અને 13(2) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપી અધિકારી અમદાવાદ રિજીયનના સાણંદમાં સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરોની કચેરીમાં વર્ગ-2 ના અધિકારી તરીકે ફરજ બજાવતો હતો. તપાસનીશ ટુકડી દ્વારા સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ અને મિલકતની ઝીણવટભરી તપાસ બાદ આ અપ્રમાણસર મિલકતનો આંકડો સામે આવ્યો છે.
ટોલ ફ્રી નંબર 1064 પર સંપર્ક કરવા અપીલ
એસીબીએ નાગરિકોને અપીલ કરી છે કે જો કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચની માંગણી કરે અથવા ભ્રષ્ટાચારના પુરાવા હોય તો ટોલ ફ્રી નંબર 1064 અથવા વોટ્સએપ નંબર 90660 11044 પર સંપર્ક કરી શકે છે.
ગુજરાતમાં ભ્રષ્ટાચારના ભોરંગ
મહત્વનું છે કે સરકારે ગત નવેમ્બર 2025માં જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા આઠ વર્ષમાં (2018થી 31 ઓક્ટોબર 2025 સુધી) ઉચ્ચ અધિકારીઓથી લઈને વર્ગ-4ના કર્મચારીઓ અને વચેટિયાઓ કુલ રૂપિયા 9 કરોડની માતબર રકમની લાંચ લેતા પકડાયા છે. એસીબી દ્વારા ગોઠવવામાં આવેલા છટકામાં આ સમયગાળા દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારના મળીને કુલ 3,517 સરકારી કર્મચારીઓને લાંચ લેતા રંગેહાથ પકડી પાડવામાં આવ્યા હતા.
કયા વિભાગમાં કેટલો ભ્રષ્ટાચાર?
એસીબીના આંકડાઓ વિભાગીય ભ્રષ્ટાચારની ગંભીર સ્થિતિ છતી કરે છે. રાજ્ય સરકારના વિભાગોમાં ગૃહ વિભાગ લાંચ લેવામાં મોખરે છે. છેલ્લા આઠ વર્ષમાં ગૃહ વિભાગના, પોલીસ કોન્સ્ટેબલથી માંડી ઉચ્ચ અધિકારીઓ સહિત, કુલ 682 કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા હતા. આ યાદીમાં બીજા ક્રમે પંચાયત વિભાગ છે, જેના 405 કર્મચારીઓ અને ત્રીજા ક્રમે મહેસૂલ વિભાગ છે, જેના 302 કર્મચારીઓ લાંચના છટકામાં ફસાયા હતા.



