Gujarat

નવા કોર્પોરેટરો તથા હોદ્દેદારો માટે મ્યુનિ.કચેરીના સી -બ્લોકમાં રીનોવેશન કરવા કવાયત શરુ

By GS TEAM
30 Apr 20261 min read
નવા કોર્પોરેટરો તથા હોદ્દેદારો માટે મ્યુનિ.કચેરીના સી -બ્લોકમાં રીનોવેશન કરવા કવાયત શરુ

  અમદાવાદ,ગુરુવાર,30 એપ્રિલ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હવે નવા કોર્પોરેટરો અને હોદ્દેદારો માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ ખાતે આવેલી કચેરીના સી-બ્લોકમાં રીનોવેશન કરવા કવાયત શરુ કરવામા આવી છે. સમારકામ ચાલે ત્યાં સુધી પદાધિકારીઓને કયાં બેસાડવા તે અંગે હાલ જગ્યા શોધાઈ રહી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીમાં ત્રીજા માળ ઉપર મેયર,ડેપ્યુટી મેયર ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન.પક્ષનેતા અને દંડકની કચેરી ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીની બેઠક  જયાં નિયમિત રીતે મળે છે તે કોન્ફરન્સ હોલ આવેલો છે.આ તમામ કચેરીઓમાં હાલ નવા એરકન્ડીશન ફીટ કરવામા આવી રહયા છે. મેયર સહિતના અન્ય પદાધિકારીઓની નિમણૂંક થઈ જશે પછી સી-બ્લોકના ત્રીજા માળ તથા ચોથા માળ ઉપર આવેલી વિપક્ષનેતા સહિત  વિવિધ કમિટીના ચેરમેન -ડેપ્યુટી ચેરમેન તેમજ કમિટીરુમનુ સમારકામ હાથ ધરવામા આવશે એમ સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.આ ઉપરાંત મ્યુનિ.કચેરીના પ્રાંગણમા આવેલા બી બ્લોકનુ રીસ્ટોરેશન કરવામા આવશે.નોંધપાત્ર બાબત એ છે કે રુપિયા દસ કરોડથી વધુના ખર્ચથી હાલમાં હેરિટેજ બિલ્ડિંગમાં રીસ્ટોરેશનની કામગીરી ચાલી રહી છે.

કોંગ્રેસ કાર્યાલયનુ વિસ્તૃતિકરણ કરાશે

દાણાપીઠ ખાતે આવેલી મ્યુનિ.કચેરીના સી-બ્લોકમાં ચોથા માળ ઉપર કોંગ્રેસ પક્ષનુ કાર્યાલય આવેલુ છે. કોંગ્રેસના કોર્પોરેટરોની સંખ્યા વધીને ૩૨ થઈ છે. એઆઈએમઆઈએમ અને અપક્ષ એક પણ કોર્પોરેટર નથી. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અપક્ષ અને એઆઈએમઆઈએમની કેબીનો તોડી કોંગ્રેસના કાર્યાલયનુ વિસ્તૃતિકરણ કરવામા આવશે.