રાત્રિના ભોજન લીધા બાદ તબિયત બગડી, મોટી ખાવડીનો બનાવ
તમામ અસરગ્રસ્તોને જામનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડી સારવાર આપવામાં આવી; ખોરાકમાં ઝેરી પદાર્થ ભળી જવાની આશંકા
જામનગર નજીક મોટી ખાવડી ગામે આવેલી લેબર કોલોનીમાં ફૂડ પોઇઝનિંગની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ રાત્રે બનાવવામાં આવેલ ખોરાક આરોગ્યા બાદ મજૂરોને એક પછી એક ઝેરી અસર થવા લાગી હતી. આ ઘટનામાં અંદાજે ૪૭થી વધુ મજૂરો ફૂડ પોઇઝનિંગનો ભોગ બન્યા હોવાનું જાણવા મળે છે. તમામ અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને હોસ્પિટલમાં રાત્રિ દરમિયાન તબીબોની ટીમને સ્ટેન્ડ ટુ રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તમામ મજૂરોને જરૂરી સારવાર આપવામાં આવી હતી. કેટલાક મજૂરોને રજા પણ આપી દેવાઇ છે. પ્રાથમિક તારણ મુજબ ખોરાકમાં કોઇ પ્રકારની બગાડ કે ઝેરી પદાર્થના કારણે આ ઘટના બની હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાત્રિના સમયે લાઇટ ન હતી ત્યારે આ બનાવ બન્યો હતો. આ મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


