Get The App

ભારત આવી રહ્યા છો? કસ્ટમ્સ વિભાગે સામાન અને સોનાની મર્યાદા અંગેના નિયમો જાહેર કર્યા

Updated: Feb 9th, 2026

GS TEAM

Google News
Google News
ભારત આવી રહ્યા છો? કસ્ટમ્સ વિભાગે સામાન અને સોનાની મર્યાદા અંગેના નિયમો જાહેર કર્યા 1 - image


આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સંખ્યામાં સતત થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને, ભારતીય કસ્ટમ્સ વિભાગે વિદેશથી આવતા મુસાફરો માટે સામાન (Baggage) ના નિયમો ફરીથી સ્પષ્ટ કર્યા છે. ખાસ કરીને સોનાની મર્યાદા, ડ્યુટી-ફ્રી લિમિટ અને કઈ વસ્તુઓ ડિક્લેર કરવી જરૂરી છે તેના પર ભાર મૂકવામાં આવ્યો છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ (SVPI) એરપોર્ટના કસ્ટમ્સ ડેપ્યુટી/આસિસ્ટન્ટ કમિશનરની કચેરી દ્વારા જારી કરાયેલ આ માર્ગદર્શિકાનો મુખ્ય હેતુ એ છે કે મુસાફરો અજાણતા કાયદાનું ઉલ્લંઘન ન કરે.

કસ્ટમ્સ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સોનું એ એવી કેટેગરી છે જેમાં સૌથી વધુ મૂંઝવણ જોવા મળે છે અને તેના નિયમોનું વારંવાર ઉલ્લંઘન થાય છે. તાજેતરમાં એરપોર્ટ પર પકડાયેલા સોનાના કિસ્સાઓ બાદ જનજાગૃતિ લાવવા આ સ્પષ્ટતા કરવામાં આવી છે.

ગ્રીન ચેનલ vs રેડ ચેનલ: કઈ પસંદ કરવી?

ભારતમાં પ્રવેશતા મુસાફરોએ એક્ઝિટ વખતે બે ચેનલમાંથી એક પસંદ કરવાની હોય છે:

• ગ્રીન ચેનલ: જે મુસાફરો પાસે એવી કોઈ વસ્તુ નથી જેના પર ડ્યુટી લાગતી હોય, અથવા કોઈ પ્રતિબંધિત વસ્તુ નથી, તેઓ ગ્રીન ચેનલનો ઉપયોગ કરી શકે છે.

• રેડ ચેનલ: જો તમારી પાસે ડ્યુટી-ફ્રી લિમિટ કરતા વધુ સામાન, કોમર્શિયલ જથ્થો અથવા પ્રતિબંધિત વસ્તુઓ હોય, તો તમારે રેડ ચેનલ પર જઈને કસ્ટમ્સ ડિક્લેરેશન ફોર્મ ભરવું ફરજિયાત છે. ગ્રીન ચેનલનો ખોટો ઉપયોગ એ 'મિસ-ડિક્લેરેશન' ગણાય છે, જેમાં સામાન જપ્ત થઈ શકે છે અને પેનલ્ટી પણ લાગી શકે છે.

ડ્યુટી-ફ્રી સામાનની મર્યાદા

• ભારતીય પાસપોર્ટ ધારકો/ભારતીય મૂળના લોકો: જેઓ ભારતીય પાસપોર્ટ ધરાવે છે અથવા ભારતીય મૂળના છે અને વિદેશથી આવી રહ્યા છે (ટૂરિસ્ટ વિઝા સિવાય), તેમના માટે રૂ. 75,000 સુધીનો સામાન ડ્યુટી-ફ્રી છે.

• વિદેશી પ્રવાસીઓ: તેમના માટે આ મર્યાદા રૂ. 25,000 સુધી સીમિત છે. આ મર્યાદાથી વધુના સામાન પર 35% બેઝિક કસ્ટમ્સ ડ્યુટી અને અન્ય લાગુ પડતા વેરા ભરવા પડે છે.

• લેપટોપનો નિયમ: 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના દરેક મુસાફર (ક્રૂ મેમ્બર સિવાય) એક નવું લેપટોપ કે નોટબુક ડ્યુટી વગર લાવી શકે છે.

નોંધનીય છે કે જો કોઈ વસ્તુ વેપારના હેતુથી (Commercial Quantity) લાવવામાં આવે, તો તેના પર કોઈ ફ્રી એલાઉન્સ મળતું નથી.

સોનું લાવવાના નિયમો (સૌથી મહત્ત્વનું)

સોના માટેના નિયમો ખૂબ જ કડક છે. જે ભારતીય રહેવાસીઓ અથવા ભારતીય મૂળના પ્રવાસીઓ વિદેશમાં એક વર્ષથી વધુ સમય રહીને પરત ફરી રહ્યા હોય, તેઓ નીચે મુજબ સોનાના દાગીના ડ્યુટી વગર લાવી શકે છે:

• મહિલા મુસાફરો માટે: 40 ગ્રામ સુધી (મર્યાદા રૂ. 1,00,000)

• પુરુષ કે અન્ય મુસાફરો માટે: 20 ગ્રામ સુધી (મર્યાદા રૂ. 50,000)

જો તમે 6 મહિનાથી વધુ સમય વિદેશમાં રહ્યા હોવ, તો તમે 1 કિલો સુધીનું સોનું (દાગીના સહિત) કન્સેશનલ (રાહત) દરે ડ્યુટી ભરીને લાવી શકો છો. આ ડ્યુટી વિદેશી ચલણમાં ચૂકવવાની હોય છે અને તેનો અસરકારક દર 6% (5% બેઝિક ડ્યુટી + 1% સેસ) છે. જે મુસાફરો આ શરતો પૂરી નથી કરતા, તેમણે 36% ના ઊંચા દરે ડ્યુટી ચૂકવવી પડે છે. સોનું છુપાવવું કે ડિક્લેર ન કરવું એ જેલની સજા અને માલ જપ્તી નોતરી શકે છે.

દારૂ, સિગારેટ અને તમાકુ

દરેક મુસાફર 2 લિટર સુધી દારૂ અથવા વાઈન લાવી શકે છે. આનાથી વધુ જથ્થા પર 250% જેટલી માતબર ડ્યુટી લાગે છે.

• તમાકુ માટેની મર્યાદા: 100 સિગારેટ, અથવા 25 સિગાર, અથવા 125 ગ્રામ તમાકુ.

કરન્સી (ચલણ) ના નિયમો

• વિદેશી ચલણ: વિદેશી ચલણ લાવવાની કોઈ મર્યાદા નથી, પરંતુ જો તમારી પાસે 5,000 USD થી વધુની નોટો હોય અથવા ટ્રાવેલર ચેક સાથે કુલ રકમ 10,000 USD થી વધુ થતી હોય, તો કસ્ટમ્સ પાસે તેનું ડિક્લેરેશન કરવું જરૂરી છે.

• ભારતીય ચલણ: ભારત આવતી વખતે કે જતી વખતે માત્ર રૂ. 25,000 સુધીની ભારતીય કરન્સી સાથે રાખી શકાય છે.

આ વસ્તુઓ પર ડ્યુટી લાગશે અથવા પ્રતિબંધ છે

• TV: LCD, LED કે પ્લાઝમા ટીવી પર કોઈ ફ્રી એલાઉન્સ મળતું નથી. પછી તે ગમે તેટલી સાઈઝનું હોય કે વપરાયેલું હોય, તેના પર 35% ડ્યુટી ભરવી જ પડશે.

• હથિયાર અને ડ્રોન: હથિયારો લાવવા પર પ્રતિબંધ છે. ડ્રોન, ટોય હેલિકોપ્ટર કે વાયરલેસ સાધનો લાવવા માટે મંત્રાલયની (WPC Wing) મંજૂરી જરૂરી છે.

• પાલતુ પ્રાણી: વિદેશમાં 2 વર્ષ રહીને આવતા લોકો હેલ્થ સર્ટિફિકેટ સાથે માત્ર બે પાલતુ પ્રાણી (કૂતરા કે બિલાડી) લાવી શકે છે.

• પ્રતિબંધિત વસ્તુઓ: નશીલા દ્રવ્યો (Drugs), અશ્લીલ સામગ્રી, નકલી સામાન, વન્યજીવ ઉત્પાદનો, બીફ (માંસ), માનવ હાડપિંજર અને લિંગ પરીક્ષણ કિટ જેવી વસ્તુઓ પર સખત પ્રતિબંધ છે.

• મુસાફરો માટે સલાહ: કસ્ટમ્સ અધિકારીઓએ જણાવ્યું હતું કે મોટાભાગના કેસોમાં મુસાફરો ઈરાદાપૂર્વક નહીં પણ અજ્ઞાનતાને કારણે નિયમો તોડે છે. તમારી મુસાફરી સુખદ રહે તે માટે આ નિયમો જાણી લેવા હિતાવહ છે.