વડોદરા,દાંડિયાબજાર ભાસ્કર વિઠ્ઠલના વાડામાં રહેતા બે પરિવાર વચ્ચે ડ્રેનેજની સફાઇના મુદ્દે તકરાર થતા મારામારી થઇ હતી. જેમાં બે વ્યક્તિઓને ઇજા પહોંચી હતી.
દાંડિયાબજાર સિદ્ધિ વિનાયક મંદિરની પાછળ ભાસ્કર વિઠ્ઠલના વાડામાં રહેતા રવિન્દ્ર વામનરાવ મોરે પંજાબી ફૂડની લારી ચલાવે છે. રાવપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, આજે સવારે કોર્પોરેશનનો સ્ટાફ ડ્રેનેજની કામગીરી માટે આવ્યો હતો. જેથી, હું તથા મારા બહેન તેઓની સાથે વાતચીત કરતા હતા. તે દરમિયાન અગાઉના ઝઘડાની અદાવત રાખી અમારા પાડોશી મૈથાલી મંદાર ચીંદડે તથા તેના પરિવારજનોએ ઝઘડો કર્યો હતો. પથ્થર મારા માથાના ભાગે મારી દેતા ઇજા પહોંચી હતી.
જ્યારે સામા પક્ષે મંત્રવીબેન મંદાર ચીંદડેએ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ડ્રેનેજ સફાઇના મુદ્દે ઝઘડો થતા રવિ તથા અન્યએ હુમલો કરી ઇજા પહોંચાડી હતી. રાવપુરા પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.


