Gujarat

જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલ માં કોરોના ની સારવાર મેળવી રહેલા વધુ એક દર્દીએ દમ તોડી દેતાં ભયનો માહોલ

By GS Team
29 Dec 20212 mins read
This article was originally published on 29 Dec 2021
જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલ માં કોરોના ની સારવાર મેળવી રહેલા વધુ એક દર્દીએ દમ તોડી દેતાં ભયનો માહોલ

- જામનગર શહેર માં કોરોનાની વણથંભી રફતાર, ગઈકાલે કોરોના ના વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા, જોકે ગ્રામ્ય વિસ્તારમાં રાહત

જામનગર, તા.29

જામનગર શહેર માં કોરોના નું સંક્રમણ દિન-પ્રતિદિન આગળ વધતું જાય છે, સાથે સાથે ઘાતક પણ બનતું જાય છે. જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં કોવિડ વિભાગમાં દાખલ થયેલા એક વિપ્ર યુવાનનું કોરોના ની સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું છે. જેથી કોરોનાના મામલે ભય ફેલાયો છે. માત્ર એક સપ્તાહ ના સમયગાળા દરમિયાન કોવિડ હોસ્પિટલ માં કુલ 5 દર્દીના મૃત્યુ થયા છે. જામનગર શહેરમાં પરમદીને વધુ એક કોરોના પોઝીટીવ કેસ નોંધાયો હતો. જેમાં ગઈકાલે વધારો થયો છે, અને કોરોના ની રફતાર વધતી જાય છે. જામનગર શહેરમાં ગઈકાલે વધુ બે કોરોના પોઝેટીવ કેસ નોંધાયા છે.  જોકે ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા નવ દિવસથી કોરોના ના મામલે રાહત છે. અને એક પણ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો નથી. 

જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં કોરોના નો સંક્રમણ ફેલાતું જાય છે સાથોસાથ ઘાતક પણ બનતું જાય છે. 

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ માં સારવાર મેળવી રહેલા જામનગરના શાંતીવન સોસાયટી માં રહેતા વિજય કાંતિલાલ ભાઈ ભટ્ટ નામના યુવાનનું આજે સવારે કોવિડ વોર્ડમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. જેના મૃતદેહની જામનગરના આદર્શ સ્મશાનમાં કોવિડની ગાઈડલાઈન મુજબ અંતિમવિધિ કરી લેવામાં આવી હતી.

 જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા ની ટિમ દ્વારા ગઈકાલે જામનગર શહેરમાં 762 લોકોનું કોવિડ પરીક્ષણ કરવામાં આવ્યું છે, અને અત્યાર સુધીના 5,89,999 લોકોનું કોવિડ પરીક્ષણ કરી લેવાયું છે. તે જ રીતે જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં 1186 લોકોના કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે, અને છેલ્લા 24 કલાક દરમિયાન શહેર અને જિલ્લાના કુલ 1,848 લોકોનું કોવિડ પરીક્ષણ કરાયું છે.

 જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ માં કોરોનાના ૩ દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. જેમાં 1  દર્દીને બાયપેપ પર રાખવામાં આવ્યો છે. ત્યારે અન્ય બે દર્દીઓ રૂમ-એર પર સારવાર હેઠળ છે.

 મ્યુકોર્માઇકોસિસ ની બીમારી ના દર્દીઓ માટે ગઈકાલે સારા સમાચાર આવ્યા હતા, અને ઇ.એન્ડ.ટી. વિભાગમાં સારવાર મેળવી રહેલા ત્રણ દર્દીઓ પૈકી બે દર્દીને ગઈકાલે જી.જી. હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. ત્યારે હવે માત્ર એક દર્દી સારવાર હેઠળ છે. અને તેને પણ બે ત્રણ દિવસ દરમિયાન રજા આપવામાં આવશે, જેથી મ્યુકોર્માઇકોસિસ ની બીમારી ના દર્દીઓનો આંકડો લાંબા સમય પછી ઝીરો નો થયો છે.