- એપ્રિલ મહિનાના અંત સુધી
- રાજ્ય સરકારનો નિર્ણય : પાકનું સારું ઉત્પાદન મળી શકવાની સંભાવનાથી ખેડૂતોમાં ખુશી
તારાપુર : સોજીત્રા વિધાનસભા વિસ્તાર સહિત સમગ્ર આણંદ જિલ્લાના ખેડૂતોને ઉનાળુ સીઝનના પાકો માટે એપ્રિલ મહિનાના અંત સુધી કેનાલ મારફતે સિંચાઈ માટે પાણી આપવા માટે લેખિત રજૂઆત કરાઈ હતી. જેને લઈ રાજ્ય સરકાર દ્વારા તારાપુર, સોજીત્રા, પેટલાદ સહિત આણંદ જિલ્લાના ખેડૂતોને એપ્રિલ અંત સુધી કેનાલનું પાણી આપવા નિર્ણય કરાયો છે.
સોજીત્રા વિધાનસભાના ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી સોજીત્રા વિધાનસભા વિસ્તાર સહિત સમગ્ર આણંદ જિલ્લાના ખેડૂતોને ઉનાળુ સીઝનના પાકો માટે એપ્રિલ મહિનાના અંત સુધી કેનાલ મારફતે સિંચાઈ માટે પાણી આપવા માટે લેખિત રજૂઆત કરાઈ હતી. સોજીત્રા વિધાનસભા વિસ્તારના સોજીત્રા, તારાપુર અને પેટલાદ તાલુકા સહિત સમગ્ર આણંદ જિલ્લાના તમામ આઠ તાલુકાના ખેડૂતો ખેતી પર આધારિત છે. ગત વર્ષે ચોમાસા દરમિયાન ડાંગરનો પાક નિષ્ફળ ગયો હોવાથી આ વર્ષે મોટા ભાગના ખેડૂતો દ્વારા ઉનાળુ સીઝનમાં ડાંગર, બાજરી સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. હાલ ખેડૂતો દ્વારા વાવેલા પાકોની પરિપક્વતા માટે પૂરતું પાણી મળવું ખૂબ જરૂરી છે. રાજ્ય સરકાર દ્વારા એપ્રિલ મહિનાના અંત સુધી કેનાલમાં સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવવામાં આવતા ખેડૂતોને પાકનું સારું ઉત્પાદન મળી શકશે અને મોટી રાહત મળશે.


