VIDEO: 'નેટવર્ક આવતુ નથી, એપ ખુલતી નથી..' ઓનલાઈન સર્વેના ગતકડાંથી અમરેલીના ખેડૂતોમાં રોષ, પેકેજની માગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amreli News : અમરેલી જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી વરસેલા કમોસમી વરસાદને કારણે મગફળી અને કપાસ સહિતના ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે, જેને પગલે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકારે જાહેર કરેલા પાક નુકસાનના ઓનલાઈન સર્વે સામે ખેડૂતોએ ખાંભા, દાઢીયાળી અને ભાવરડી સહિતના ગામડાઓમાં ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.

ઓનલાઈન સર્વે સામે ખેડૂતોનો બહિષ્કાર
ખેડૂતોનો મુખ્ય વિરોધ ઓનલાઈન સર્વેની પદ્ધતિ સામે છે. ખેડૂતોની ફરિયાદો છે કે, કૃષિ પ્રગતિ એપ્લિકેશન (App) ખૂલતી નથી, જેના કારણે સર્વે કરનારા (સર્વેનરો) અને ખેડૂતો બંને પરેશાન છે. ગ્રામ્ય વિસ્તારોમાં નેટવર્કનો અભાવ હોવાથી ડિજિટલ સર્વે કરવો મુશ્કેલ છે. જિલ્લાના અનેક સ્થળે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા અને ઓનલાઈન સર્વેનરોને વાડી-ખેતરોમાં સર્વે કરવાની ના પાડી દીધી. ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે ઓનલાઈન સર્વે બંધ કરવામાં આવે અને નુકસાનીના વળતર માટે સીધું જ રોકડ પેકેજ જાહેર કરીને ખાતામાં સહાય આપવામાં આવે.



ખાંભા અને સાવરકુંડલામાં ઉગ્ર રજૂઆતો
ખાંભા: કિસાન સંઘના નેજા હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતો મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપીને વ્યાપક નુકસાનનું તમામ ખેડૂતોને વળતર આપવાની માંગ કરી હતી.

સાવરકુંડલા: ખેડૂતોના પ્રશ્નોની અવગણના થતાં તેઓ તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા. "જય જવાન જય કિસાન"ના નારા સાથે ટી.ડી.ઓ. (TDO)ને ઉગ્ર રજૂઆત કરી હતી. ખેડૂત નેતા મહેશ ચોડવડિયાએ TDO સમક્ષ ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાની માંગ કરી હતી. ખેડૂતોએ ફરિયાદ કરી હતી કે કૃષિ વિભાગના અધિકારીઓ મોબાઈલ ફોન પણ ઉપાડતા નથી, જેના કારણે રૂબરૂ કામ છોડીને આવવું પડે છે. TDO એ જણાવ્યું કે સરકાર દ્વારા પ્રાથમિક સર્વે થઈ ચૂક્યો છે.
કોંગ્રેસનું 'ખેતી બચાવો સત્યાગ્રહ'નું એલાન
અમરેલી જિલ્લામાં ખેતી અને ખેડૂતોના મુદ્દે કોંગ્રેસ પક્ષ આક્રમક મૂડમાં આવ્યો છે.પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતેથી 'ખેતી બચાવો સત્યાગ્રહ'નું એલાન કર્યું છે. તેમણે કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને લેખિતમાં આંદોલનની મંજૂરી માટે માંગણી કરી છે અને જાહેર કર્યું છે કે પરવાનગી મળે કે જેલમાં ધકેલી દેવામાં આવે, સત્યાગ્રહ ચાલુ રહેશે.

આ પણ વાંચો: VIDEO: '5 નવેમ્બરથી ગુજરાતમાં વરસાદની શક્યતા નહિવત્', હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
કોંગી નેતા પ્રતાપ દુધાત પણ આક્રમક છે. તેમણે સરકારને વિનંતી કરતા જણાવ્યું હતું કે ખેડૂતોને એપ્લિકેશનમાં ક્રોપ વિંગ અને લોકેશન સાથે ફોટા પાડવાના 'ગતકડાં' બંધ કરવા જોઈએ. તેમણે ખેડૂતોને હાકલ કરી છે કે ગ્રામ પંચાયતે ઠરાવ કરીને સર્વે કરવા આવનારને એકપણ જગ્યાએ ન જવા દે, અને સરકાર દેવા માફ કરે. દુધાતે ખેડૂતોને રોડ પર ઉતરીને અવાજ ઉપાડવા આહ્વાન કર્યું છે.
સમગ્ર જિલ્લામાં પાક નુકસાનીના મુદ્દે રાજકારણ ગરમાયું છે અને ખેડૂતોના રોષને કારણે આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે.
આ પણ વાંચો: ગુજરાતના ખેડૂતોને સહાયની આશા! પાક નુકસાનીનો 3 દિવસમાં સર્વે કરવા રાજ્ય સરકારનો આદેશ
આ પણ વાંચો: ગુજરાતના 106 તાલુકામાં કમોસમી વરસાદ, સૌથી વધુ અમદાવાદના ધંધુકા અને પોરબંદરમાં ખાબક્યો








