Gujarat

ખેડૂતોના હિત વિરોધી કાયદાઓ પાછા ખેંચાતા ગુજરાતના કૃષિકારોે ખુશખુશાલ

By GS Team
19 Nov 20212 mins read
This article was originally published on 19 Nov 2021
ખેડૂતોના હિત વિરોધી કાયદાઓ પાછા ખેંચાતા ગુજરાતના કૃષિકારોે ખુશખુશાલ

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,સોમવાર

ખેડૂતોના હિતના ઓઠાં હેઠળ વેપારીઓ અને કોર્પોરેટ કંપનીઓને ફાયદો કરાવવા કેન્દ્ર સરકારે ખેડૂતો માટે કરેલા ત્રણ કાયદા સામે છેલ્લા સવા વર્ષથી ચાલી રહેલા વિરોધને અંતે ત્રણેય કાયદા રદ કરી દેવાની આજે પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલી જાહેરાતને પરિણામ કૃષિકારો ખુશ થઈ ગયા છે. મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં કોન્ગ્રેસ અને કિસાન સંગઠનોએ પણ મીઠાઈ વહેચીને તથા ફટાકડા ફોડીને પ્રધાનમંત્રીના નિર્ણયને વધાવ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો સંગઠનો અને કોન્ગ્રેસીઓએ કાયદાઓ પાછા ખેંચવાના નિર્ણયને આવકાર્યો હતો. સાબરકાંઠાના હિમ્મતનગર વિસ્તારમાં  કોન્ગ્રેસે ફટાકડાં ફોડીને કાયદાઓ રદ કરવાની પ્રધાનમંત્રીએ કરેલી જાહેરાતને વધાવી લીધી હતી.સમગ્ર ગુજરાતના ખેડૂતોએ પણ આ ખુશીની મીઠાઈઓ વહેંચીના ઉજવણી કરી હતી. 

ખેડૂતોના હિતમાં લડત કરનારા અને આ કાયદાઓનો વિરોધ કરનારાઓનું કહેવું છે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અન કોર્પોરેટ ફાર્મિંગના કાયદાઓ કોર્પોરેટ કંપનીઓની તરફેણમાં જતાં હતા. તેનાથી ખેડૂતોને અન્યાય થવાની સંભાવના હતી. પરંતુ હવે આ ત્રણેય કૃષિ કાયદાઓ રદ કરી દેવાની જાહેરાત કરવામાં આવી તેથી કોર્પોરેટ અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરનારાઓને મળનારી સત્તા પર બ્રેક લાગી જશે. 

નવા ત્રણ કાયદાની મદદથી એપીએમસીને બાયપાસ કરવાનો પ્રયાસ પણ આ સાથે રદ બાતલ થઈ જશે. ગુજરાતમાં જે ૨૬ ખાનગી મંડળીઓ તૈયાર છે. તેના હિતમાં નવા કાયદાને પરિણામે સરકારી એપીએમસી બંધ થઈ જાય તેમ હતી. 

સંગ્રહખોરીને પરનો નિયંત્રણ નવા કાયદાથી ખેંચાઈ જતું હતું. પરંતુ હવે તે નિયંત્રણ હવે આવી જશે. તેને પરિણામે ગ્રાહકોને ફાયદો થશે. સંગ્રહખોરી કરીને ભાવના વધારા કરવાની વેપારીઓની ચાલ પર અંકુશ આવી જશે. વેપારીઓ સંગ્રહી રાખેલો માલ પાકની લણણીની સીઝનમાં બજારમાં મૂકીને ખેડૂતોને મળનારા ભાવ તૂટી જવાની સંભાવના નવા કાયદાથી વધી ગઈ હતી. પરંતુ નવા કાયદા પાછા ખેંચાવાની જાહેરાત થતાં ખેડૂતોના હિત જળવાઈ રહે તેવા ભાવ મળવાનો શક્યતા રહેશે. 

કોર્પોરેટ ફાર્મિંગ અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં કંપનીઓ અને કોન્ટ્રાક્ટ કરનારાઓને બેફામ સત્તાઓ મળી જતી હતી.  હવે કાયદા ખેંચાઈ જતાં તેમ થઈ શકશે નહિ. પરકેન્દ્ર સરકારના ત્રણ કાયદાઓમાં કરવામાં આવેલી જોગવાઈને પરિણામે સરકારી એપીએમસીને કોરાણે મૂકીને ખાનગી એપીએમસીને આડકતરી રીતે આ કાયદાઓથી પ્રોત્સાહન મળતું હતું. આ પ્રોત્સાહન ન મળે અને સરકારી એપીએમસીઓ સક્રિય રહે તેવી વ્યવસ્થા ચાલુ જ રહેશે.

જોકે કાયદાઓ ખેંચાઈ જવા માટે સંસદમાં ત્રણેય કાયદા રદ કરતો ખરડો રજૂ કરીન ેતેને મંજૂર કરાવી રાષ્ટ્રપતિ પાસે સહી કરાવવાની પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી કાયદો ખેંચાયેલા ગણાય જ નહિ. આ સંજોગમાં અત્યારથી ખેડૂતોએ અતિઉત્સાહમાં આવી જવાની જરૃર જ ન હોવાનું કૃષિ ક્ષેત્રના જાણકારોનું કહેવું છે.  

રાજકીય જાણકારોનું કહેવું છે કે દેશમાં વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપના થયેલા કરુણ રકાસને પરિણામે પ્રજાની નાડનો અંદાજ આવી જતાં ભારતીય જનતા પાર્ટીએ રાજકીય રીતે ગ્રાઉન્ડ કવર કરી લેવા માટે કૃષિકારોના હિતમાં કાયદાઓ પાછા ખેંચી લેવાની જાહેરાત કરી હતી.