અમદાવાદ, ગુરુવાર
સાબરમતી નદીમાંથી સાત મહિનાથી ગુમ રાંધેજાના યુવકનો મૃતદેહ મળ્યો હતો. પોલીસ તપાસમાં મૃતક યુવકના શરીર ઉપર તિક્ષ્ણ હથિયારના ઘાના ઇજાના નિશાનો મળ્યા હતા. અજાણી વ્યકિતએ હત્યા કરીને પુરાવાનો નાશ કરવા માટે લાશની નદીમાં ફેંકી હતી. આ બનાવ અંગે રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસે હત્યાનો ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી છે.
હાથ ઉપર યુવકના નામ વાળા છુંદણાથી ઓળખ થઇ ઃ રિવરફ્રન્ટ પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો
ગાંધીનગર જિલ્લાના પિલવાઇના વતની અને હાલ રાંધેજા ખાતે રહેતા તથા રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાત ચલાવતા વૃદ્ધે પૂર્વ રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યકિત સામે ફરિયાદ નોંધાવી છે કે તેમના પુત્રએ ૨૦૧૭માં પ્રેમલગ્ન કર્યા હતા. જો કે ગૃહ કલેશના કારણે દિકરાની પત્ની દોઢ વર્ષથી પિયરમાં રહેછે. તા. ૨૨-૯-૨૦૨૫ના રોજ ફરિયાદી કામેથી ઘરે આવ્યા ત્યારે જાણવા મળ્યું હતું કે મૃતક યુવક ભાગોળે બેસવા જવાનું કહીને ઘરે પરત આવ્યો ન હતો.
જેથી પેથાપુર પોલીસ સ્ટેશનમાં યુવક ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. બીજીતરફ પોલીસને તા. ૨૫-૦૯-૨૫ના રોજ સાબરમતી રિવરફ્રન્ટ કિનારેથી એક અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. મૃતકના હાથ ઉપર તેના નામનું છુંદણું હતું. પોલીસે ફરિયાદીને લાશનો ફોટો બતાવતા તેમના પુત્રની હોવાની શંકા ગઇ હતી. ખાતરી કરવા માટે ડીએનએ ટેસ્ટ કરાતા રિપોર્ટમાં લાશ ફરિયાદીના પુત્રની હોવાનું બહાર આવ્યું હતું તેમજ પીએમ રિપોર્ટમાં શરીર ઉપર બોથડ તથા તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કર્યા પછી લાશને નદીમાં ફેંકી દીધી હતી.


