Surendranagar News: રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના વડિયા, કેરાળા અને થોરીયાળી એમ ત્રણ ગામોમાં છેલ્લા 12 કલાકથી વીજ પુરવઠો બંધ હોવાથી ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે. ઉનાળામાં વડિયા ખાતે વીજપોલ પડી જતાં ત્રણ ગામોના સ્થાનિકો મુશ્કેલીમાં મૂકાયા છે. છેલ્લા 12 કલાકથી વધુ સમય થયો છતાં કોઈ કાર્યવાહી ન થતાં ગ્રામજનો સાયલા PGVCL કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં ઓફિસ રામ ભરોસે હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
સાયલાના વડિયા ખાતે વીજપોલી પડી જતાં ગરમીના કારણે ગ્રામજનો સાયલા PGVCL ખાતે રજૂઆત કરવા ગયા હતા. જ્યાં કચેરીમાં મોટાભાગના અધિકારીઓ ગેરહાજર જોવા મળ્યા હતા. સાયલા PGVCLના નાયબ એન્જિનિયર પાસે અન્ય ચાર્જ હોવાના કરાણે ઓફિસમાં ગેરહાજર હોવાનું જણાયું હતું.
આ પણ વાંચો: ગુજરાતમાં બેવડી ઋતુ: પાટણમાં ભરઉનાળે વરસાદી ઝાપટું, રાજકોટમાં ગરમીનો પારો 43ને પાર
વીજપોલ પડી જવા મામલે ગ્રામજનોએ રજૂઆત કરતાં PGVCLના અધિકારીએ જણાવ્યું હતું કે, 'અમારી પાસે હાલ રિપેરિંગ કરવા માટે કોઈ માણસો હાજર નથી.' આ બાબતે ગ્રામજનોએ અધિકારી પાસે લેખિતમાં લીધુ હતું.
ઉનાળો શરૂ થતાં જ સાયલા તાલુકામાં વીજ પ્રશ્નો વધી રહ્યા છે, ત્યારે સાયલા PGVCL કચેરીમાં મુખ્ય અધિકારીઓ ગેરહાજર જોવા મળ્યા હતા. વીજ પૂરવઠો ન મળતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્ય હતો.


