Ekta Nagar Jungle Safari: ગુજરાતમાં ઉનાળાનો પારો આસમાને પહોંચી રહ્યો છે, ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલા સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્કમાં વન્યજીવોને ગરમીથી બચાવવા માટે વીઆઈપી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. અહીં વસતા 100 પ્રજાતિના આશરે 1500 જેટલા દેશ-વિદેશના પ્રાણી-પક્ષીઓની એક પરિવારના સભ્યોની જેમ ખાસ માવજત કરવામાં આવી રહી છે. વિદેશી પ્રાણીઓ ગરમીમાં બીમાર ન પડે તે માટે તેમના પાંજરામાં એસી, કુલર અને સ્પ્રિંકલર જેવી આધુનિક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.
આઈસ ક્યુબ અને ફ્રોઝન ફ્રુટ પોપ્સિકલ્સ
જંગલ સફારીના ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર, ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને વન્યજીવો માટે ખાસ હાઇડ્રેટિંગ ડાયેટ પ્લાન તૈયાર કરાયો છે. વિદેશી પક્ષીઓ અને પ્રાણીઓને ગરમીથી રાહત આપવા માટે ખાસ પ્રકારના ફળોના રસ અને ફળોને ફ્રોઝન કરીને તેના આઈસ ક્યુબ તેમજ પોપ્સિકલ્સ (કુલ્ફી જેવી આઈસ કેન્ડી) બનાવીને આપવામાં આવે છે. આ ઉપરાંત પક્ષીઓ અને અન્ય પ્રાણીઓના ખોરાકમાં પાણીનું પ્રમાણ વધારે હોય તેવા રસદાર ફળોનો ઉમેરો કરવામાં આવ્યો છે.
પાંજરામાં AC-કુલર અને આર્ટિફિશિયલ તળાવો
અસહ્ય લૂ અને તાપથી બચાવવા માટે જંગલ સફારીમાં નીચે મુજબની હાઈટેક વ્યવસ્થાઓ કરાઈ છે. વિદેશી બર્ડ એવીયરી (પક્ષીઘર) અને પિંજરાઓમાં સતત પાણીનો છંટકાવ કરવા માટે ખાસ સ્પ્રિંકલર લગાવવામાં આવ્યા છે. પેટ ઝોન અને નાના પ્રાણીઓ માટે એર કન્ડિશનર (AC), કુલર અને પંખા ચોવીસ કલાક કાર્યરત છે. આ ઉપરાંત હરણ, રીંછ, હિપ્પોપોટેમસ, ભારતીય ગેંડો અને ભારતીય ગોર (બાયસન) જેવા પ્રાણીઓના પાંજરામાં આર્ટિફિશિયલ તળાવો બનાવવામાં આવ્યા છે. જ્યાં તેઓ કલાકો સુધી પાણીમાં બેસીને ગરમીથી રાહત મેળવે છે. જ્યાં સીધો તડકો આવતો હોય ત્યાં વન્યજીવોના રક્ષણ માટે પતરાના ખાસ શેડ તૈયાર કરાયા છે.
તબીબોનું ચોવીસ કલાક મોનિટરિંગ
જંગલ સફારીમાં નિષ્ણાંત પ્રાણીશાસ્ત્રીઓ અને પશુ તબીબોની ટીમ રાઉન્ડ ધી ક્લોક પ્રાણીઓના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. યોગ્ય ભોજન, ઠંડક અને શ્રેષ્ઠ સારવારને કારણે અહીં વન્યજીવો સક્રિય રહે છે અને જંગલ સફારીમાં પ્રાણીઓનું સફળ પ્રજનન પણ નોંધાઈ રહ્યું છે. આ સિવાય અહીં આવતા પ્રવાસીઓ માટે પણ ઠંડા પાણી અને ખાસ શેડની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.


