Gujarat

તળાજામાં શ્વાનની રંજાડ, 4 દી'માં 12 લોકોને ડોગબાઈટ

By GS TEAM
12 Jun 20261 min read
તળાજામાં શ્વાનની રંજાડ, 4 દી'માં 12 લોકોને ડોગબાઈટ

અચાનક પાછળથી આવીને કરડી જતાં રહિશોમાં ફફડાટ

શેરી મહોલ્લામાં રખઢતા કૂતરાઓને પકડવાની કામગીરી ક્યારે કરાશે ઃ લોકોમાં સવાલ

તળાજાતળાજામાં છેલ્લા પાંચેક માસથી શ્વાનની રંજાડ વધી છે. પગપાળા કે વાહન લઈને જતાં લોકો પાછળ ભસીને દોડવાની અને કૂતરાં કરડવાની ફરિયાદો વધી હોવા છતાં નગરપાલિકાનું નપાણિયું તંત્ર કોઈ પગલા ભરતું નથી.

તળાજાના વોર્ડ નં.૬માં રામપરા રોડ, હનુમંત હોલ સામે, ઈન્દ્રપ્રસ્થ વિસ્તારમાં એક જ કૂતરું ચારેક દિવસમાં ૧૨ જેટલા લોકોને કરડી ગયું છે. આ બાબતે ચીફ ઓફિસરને રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પરિણામ લેવામાં ન આવતા ગઈકાલે એક વૃદ્ધને ડોગબાઈટનો શિકાર બનવું પડતા તેમની હાલત ગંભીર થઈ હતી. આ ઉપરાંત એક ગૃહિણી પસાર થઈ રહ્યા હતા. ત્યારે કારની નીચે બેઠેલું શ્વાન અચાનક આવી તેમને કરડી ગયું હતું. આમ, છેલ્લા ચારેક દિવસથી અચાનક પાછળથી આવીને કરડી જતાં રહિશોમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે ન.પા. તંત્રને ગ્રાન્ટ ફાળવેલી હોય, આવા શ્વાનોને પકડી લોકોને ભયમુક્ત કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે. વધુમાં સુપ્રીમ કોર્ટ અને સરકારની ગાઈડલાઈન મુજબ કૂતરાંને પકડી ડબ્બે પૂરવા અને ખસીકરણ કરવાનું હોય છે. આ ગાઈડલાઈન પ્રમાણે એજન્સી નિમવા માટે ટેન્ડરીંગ કરી આગળની કાર્યવાહી કરીશું તેમ ચીફ ઓફિસર દિલીપ હુણે જણાવ્યું હતું.