Gujarat

બહારગામ જવા ધસારોઃ વડોદરા એસટી ડિવિઝને વધુ ૪૫ બસો દોડાવી

By GS Team
3 Nov 20212 mins read
This article was originally published on 3 Nov 2021
બહારગામ જવા ધસારોઃ વડોદરા એસટી ડિવિઝને વધુ ૪૫ બસો દોડાવી

વડોદરાઃ દિવાળીના તહેવારો અને વેકેશનના પગલે બહારગામ જવા માટે લોકોના ધસારાના કારણે વડોદરા એસટી ડિવિઝન દ્વારા વધુ ૪૫ બસો મુકવામાં આવી છે.

એસટી ડિવિઝનના સૂત્રોએ કહ્યુ હતુ કે, કોરોનાની બીજી લહેરનુ જોર ઓછુ થઈ ગયુ હોવાથી લોકો બહારગામ જવા માટે ધસારો કરી રહ્યા છે.સરકારે વેકેશન પણ લંબાવી દીધુ હોવાથી એસટી બસમાં મુસાફરી કરવા માટે લોકોની ભીડ વધી રહી છે.જેના પગલે વેકેશન સુધી વડોદરા ડિવિઝન દ્વારા એસટીની ૨૦૦ ટ્રિપો વધારી દેવાઈ છે.રોજ ૧૭૦૦ જેટલી ટ્રિપોની જગ્યાએ હવે ૧૯૦૦ ટ્રિપો દોડાવવામાં આવી રહી છે.

મુસાફરોના ધસારાના કારણે વડોદરા ડિવિઝનની આવકમાં પણ પાંચેક લાખ રુપિયાનો વધારો છેલ્લા બે દિવસથી જોવા મળી રહ્યો છે.પહેલા રોજની ૨૫ લાખ જેટલી આવક રહેતી હતી.તેની જગ્યાએ હવે રોજની આવક ૩૦ લાખ રુપિયા પર પહોંચી છે.એસટી ડેપો પર વેકેશનના કારણે રોજના ૧૦૦૦૦ લોકોની અવર જવર થઈ રહી છે.

સૂત્રોના કહેવા પ્રમાણે એડવાન્સ બૂકિંગ માટે પણ એટલો જ ધસારો છે.વેકેશન પુરુ થાય ત્યાં સુધીના સમય માટે લોન્ગ રુટની તમામ બસો માટે  લગભગ ૧૦૦ ટકા એડવાન્સ બૂકિંગ થઈ ચુકયુ છે.

એક અધિકારીએ કહ્યુ હતુ કે, ડિઝલના ભાવમાં વધારો થયા બાદ પણ એસટીએ બસ ટિકિટના ભાવમાં વધારો કર્યો નથી.બીજી તરફ તહેવારોનો લાભ લઈને ખાનગી લક્ઝરી બસ સહિતના વાહનોના ચાલકોએ ભાડા બે થી ત્રણ ગણા વધારી દીધા છે.જેના પગલે પણ એસટીમાં મુસાફરી કરવા માટે ધસારો વધી ગયો છે.