Get The App

ડોક્ટર બનવાની ઇચ્છા ધરાવતી ડીંડોલીની ધો.12 સાયન્સની વિદ્યાર્થિનીનો આપઘાત

Updated: Jan 2nd, 2026

GS TEAM

Google News
Google News
ડોક્ટર બનવાની ઇચ્છા ધરાવતી ડીંડોલીની ધો.12 સાયન્સની વિદ્યાર્થિનીનો આપઘાત 1 - image

- મેરી માતા સ્કૂલમાં ભણતી18 વર્ષીય તન્નુ ઓઝાએ ઘરે ફાંસો ખાઇ લીધો : અભ્યાસના તણાવમાં જીવન ટુંકાવ્યું હોવાની શક્યતા 

 સુરત,:

સુરતના ડીંડોલીમાં આજે શુક્રવારે વહેલી સવારે ધો.૧૨ સાયન્સની વિદ્યાર્થીએ અભ્યાસના ટેન્શનમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું . એકની એક દીકરીએ લીધેલા આ પગલાને કારણે ઓઝા પરિવાર ઘેરા આઘાતમાં સરી પડયો હતો.

નવી સિવિલથી મળેલી વિગત મુજબ મૂળ ઉત્તરપ્રદેશના પ્રતાપગઢની વતની અને હાલમાં ડીંડોલીમાં આવેલા મહાદેવનગરમાં રહેતા અજયભાઈ ઓઝાની ૧૮ વર્ષીય પુત્રી તન્નું આજે શુક્રવારે વહેલી સવારે ઘરમાં હૂક સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાધો હતો. જોકે તેના પરિવારના સભ્યોની નજર પડતા તેને નીચે ઉતારાઈ સારવાર માટે ૧૦૮  એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.

ડીંડોલી પોલીસે કહ્યું હતું કે, તન્નું પાંડેસરા રોડ પર આવેલી મેરી માતા પબ્લિક સ્કૂલમાં ધોરણ ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતી હતી, તેની ડોક્ટર બનવાની ઈચ્છા હોવાથી બાયોલોજી લીધું હતું. તે નિયમિત અભ્યાસ પણ કરતી હતી. આગામી ફેબ્રુઆરીમાં તેની બોર્ડની પરીક્ષા શરૃ થવાની હતી. તે માટે પણ તે સખત અભ્યાસ કરી રહી હતી. જોકે, અભ્યાસને લીધે માનસિક તણાવને લીધે તેણે આ પગલું ભર્યું હોવાની શક્યતા છે. જોકે, વિસ્તૃત તપાસ બાદ હકીકત જાણવા મળશે. તન્નુ પરિવારમાં એકની એક દીકરી હતી. તેના અકાળે મૃત્યુને પગલે પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થયો છે. તન્નુના પિતા રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાત ચલાવે છે.