વડોદરા,અનગઢ ગામમાં પાણીના ટાંકામાં ઉતરેલા યુવકને કરંટ લાગતા કરૃણ મોત થયું છે. જે અંગે નંદેસરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અનગઢ ગામ રામગઢ પ્રાથમિક શાળા પાસે રહેતા ૩૪ વર્ષના કમલેશભાઇ લક્ષ્મણભાઇ ગોહિલ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. પત્ની અને બે સંતાનો સાથે રહેતા કમલેશભાઇના ઘર પાસે શૌચાલય બનાવવાનું કામ ચાલી રહ્યું હતું.પાણી માટે ઘર પાસે બનાવેલા મોટા ટાંકામાંથી પાણી બહાર કાઢવા માટે તેમણે ઇલેક્ટ્રિક મોટર મૂકી હતી. મોટરનો પ્લગ સ્વીચ બોર્ડમાં નાખ્યો હતો. પરંતુ, સ્વીચ ચાલુ કરી નહતી. દરમિયાન મોટર ટાંકામાં પડી જતા કમલેશભાઇ મોટરનો પ્લગ સ્વીચ બોર્ડમાંથી કાઢ્યા વગર જ ટાંકામાં ઉતરતા તેઓને કરંટ લાગતા બેભાન થઇને અંદર જ પડી ગયા હતા. તેમના પત્ની દોડી આવતા તેમણે નજીકમાં રહેતા અન્ય સગાઓને તાત્કાલિક બોલાવ્યા હતા. મોટરનો પ્લગ સ્વીચ બોર્ડમાંથી કાઢી તેઓ ટાંકામાં અંદર ઉતર્યા હતા. બેભાન હાલતમાં જ કમલેશભાઇને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, તેઓનો જીવ બચી શક્યો નહતો.


