Get The App

સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી ડાકોર પાલિકામાં 4 મહિનાથી અંધારપટ

Updated: Feb 21st, 2026

GS TEAM

Google News
Google News
સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી ડાકોર પાલિકામાં 4 મહિનાથી અંધારપટ 1 - image

- ટેક્સ 'એ' ગ્રેડનો અને સુવિધા શૂન્ય, જનતામાં રોષ

- ફરિયાદ બાદ હવે ચીફ ઓફિસરે માત્ર ઈલેક્ટ્રિક સામાન મંગાવવા માટે કર્મચારીની નિમણૂક કરવાની સૂચના આપી 

આણંદ : ડાકોરમાં નગરપાલિકાના સત્તાધીશોની બેદરકારીને કારણે પ્રજા ત્રાહિમામ્ પોકારી ઉઠી છે. છેલ્લા ચાર મહિનાથી શહેરના અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી અંધારપટ છવાયેલો છે, પરંતુ નવાઈની વાત એ છે કે નગરપાલિકાના ચીફ ઓફિસર પાસે આ અંગે કોઈ માહિતી જ નથી.

ડાકોર નગરપાલિકાના રહીશો 'એ' ગ્રેડનો ટેક્સ ભરતા હોવા છતાં તેમને લાઈટ, પાણી અને ગટર જેવી પાયાની સુવિધાઓ માટે વલખાં મારવા પડી રહ્યા છે. મોટાભાગના રહીશોને પાણી માટે પોતાના બોર બનાવવા પડયા છે, જ્યારે ગટર ઉભરાવાની સમસ્યા ઠેર-ઠેર જોવા મળી રહી છે. નંદનવન સોસાયટી સહિત વોર્ડ નંબર ૬માં લાંબા સમયથી લાઈટો બંધ છે, જેને કારણે સ્થાનિકોને ભાકે હાલાકી વેઠવા પડી રહી છે. સ્થાનિક આગેવાને સ્ટ્રીટ લાઈટ અંગે રજૂઆત કરી, ત્યારે ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. પાલિકાના વાયરમેન જોસફભાઈના જણાવ્યા અનુસાર, પાલિકામાં છેલ્લા ચાર મહિનાથી ઈલેક્ટ્રિકનો કોઈ સમાન કે રિપેરિંગ મટીરીયલ જ લાવવામાં આવ્યું નથી. રહીશોનો આક્ષેપ છે કે, ચીફ ઓફિસર સંજયભાઈ પટેલને માત્ર રોડ-રસ્તા અને પેવરબ્લોક જેવા 'કમિશન' વાળા કામોમાં જ રસ છે. જનહિતના કામોમાં તેઓ ઉદાસીન છે. ચીફ ઓફિસરની કામગીરીથી મામલે ભાજપના શહેર પ્રમુખ અને અગ્રણીઓએ લેખિતમાં મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે, ચીફ ઓફિસર છેલ્લા પાંચ વર્ષમાં બે વખત બદલાઈને ફરી ડાકોરમાં જ આવી ગયા છે અને વિકાસના કામોની 'ઘોર ખોદી' રહ્યા છે. ફરિયાદ બાદ હવે ચીફ ઓફિસરે માત્ર ઈલેક્ટ્રિક સામાન મંગાવવા માટે કર્મચારીની નિમણૂક કરવાની સૂચના આપી છે. ડાકોરવાસીઓ હવે સવાલ કરી રહ્યાં છે કે, તેમને અંધારપટમાંથી ક્યારે મુક્તિ મળશે?