Gujarat

રાજુલા શહેરમાં પી.જી.વી.સી.એલ.ની બેદરકારીથી રોજીંદા વીજધાંધીયાં

By GS TEAM
23 Jun 20261 min read
રાજુલા શહેરમાં પી.જી.વી.સી.એલ.ની બેદરકારીથી રોજીંદા વીજધાંધીયાં

છેલ્લા બે મહિનાથી શિરદર્દ સમાન  સમસ્યાનો ઉકેલ આવતો નથી

ફરજ પરના કર્મચારીઓ ફોન ઉપાડવાની પણ તસ્દી લેતા નથી, વેપાર ઉદ્યોગને આર્થિક ફટકો

રાજુલારાજુલા શહેરમાં પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓની અણઆવડત અને બેદરકારીના કારણે રોજીંદી વીજધાંધીયાની રામાયણ જોવા મળી રહી છે. છેલ્લા ત્રણ મહિનાથી દરરોજ દિવસ દરમિયાન વીજપુરવઠો ગુલ થઈ જાય છે જેથી વેપાર ઉદ્યોગને ભારે નુકશાન થઈ રહ્યુ છે.

રાજુલામાં તંત્રવાહકોની લાપરવાહીથી વીજ પુરવઠાની હાલત દયનીય બની ગઈ છે. વેપારીઓએ આક્ષેપ વ્યકત કરી જણાવ્યુ હતુ કે, છેલ્લા બે મહિનાથી એકપણ દિવસ એવો પસાર થયો નથી કે, રાજુલામાં લાઈટ ન ગઈ હોય. કન્ટ્રોલ ઓફિસમાં લાઈટ આવે અને જાય તેની જાણ કરવા માટે ફરજ પરના કર્મચારીઓ પણ ફોન ઉપાડવાની તસ્દી લેતા નથી તેવુ લોકોમાં આક્રોશભેર ચર્ચાઈ રહ્યુ છે.ઉચ્ચ અધિકારીઓ ફિલ્ડના નામે ગાયબ જ રહે છે. જયારે ગ્રાહક ઓફિસમાં પુછવા જાય ત્યારે એક જ જવાબ અપાય છે કે, આજે તત્વજયોતિ ફીડર ફોલ્ટમાં છે. ગરમીના માહોલમાં પવન કે વરસાદ વગર જ વારંવાર લાઈટ જતા નાગરીકો ખાસ કરીને વૃધ્ધો, બાળકો અને દર્દીઓની હાલત કફોડી બની  જાય છે, હીરા, ઘંટી જેવા ઉદ્યોગોનું ઉત્પાદન ખોરવાઈ જાય છે. ઠંડા પીણા તેમજ અન્ય ખાદ્ય પદાર્થોનો લાખોનો કિંમતી માલ સામાન બગડી રહ્યો હોય તેઓને આર્થિક ફટકો વેઠવાનો વખત આવ્યો છે.