ગુજરાત પર 'શક્તિ' વાવાઝોડાનો ખતરો! 100-110 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા
Cyclone Shakti : અરબ સાગરમાં વર્ષ 2025નું પહેલું સાયક્લોનિક શક્તિ (Cyclone Shakti) સક્રિય થઈ રહ્યું છે. વાવાઝોડાને લઈને ભારતીય મૌસમ વિભાગ(IMD) દ્વારા જાણકારી આપવામાં આવી છે. IMD મુજબ, અરબ સાગરના ઉત્તર-પૂર્વ ભાગમાં ડીપ ડિપ્રેશન બન્યું છે. જે ધીમે-ધીમે ચક્રવાતમાં ફેરવાઈ રહ્યું છે.
અહીંથી પસાર થઈ શકે છે 'સાયક્લોનિક શક્તિ'
અરબ સાગરમાં સાયક્લોનિક શક્તિ સક્રિય થયું છે. જેની અસર ગુજરાત સહિતના રાજ્યમાં જોવા મળે તેમ છે. IMD અનુસાર, શુક્રવારે (3 ઑક્ટોબર) સવારે 8:30 સિસ્ટમ ગુજરાતના દ્વારકાથી લગભગ 240 કિલોમીટર અને પોરબંદરથી 270 કિલોમીટર દૂર હતી. જ્યારે આગામી ત્રણ કલાકમાં આ સાયક્લોનિક વધુ સક્રિય થશે. જેના 24 કલાકમાં સાયક્લોનિક શક્તિનું જોર વધશે અને ભયંકર પવન ફૂંકાવાની શક્યતા છે. શરુઆતમાં આ સાયક્લોનિક પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ અને પછી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધશે.
સાયક્લોનિકનું 'શક્તિ' નામ કઈ રીત પડ્યું?
સાયક્લોનિકના નામ રાખવાની એક ખાસ પ્રક્રિયા છે. જેમાં બંગાળની ખાડી અને અરબ સાગરમાંથી આવતા તૂફાનોના નામ રાખવાની સિસ્ટમ વર્ષ 2024માં શરુ થઈ હતી. આ સિસ્ટમમાં ભારત, બાંગ્લાદેશ, માલદીવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઇલૅન્ડ જેવા દેશ સામેલ છે. સાયક્લોનિક 'શક્તિ'નું નામ શ્રીલંકા દ્વારા અપાયું છે. આ એક તમિલ શબ્દ છે જેનો મતલબ 'તાકાત' અથવા 'Power' થાય છે. વાવાઝોડાના નામ રાખતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવામાં આવે છે. જેમ કે, નામ અપમાનજનક ન હોવું જોઈએ. નામ ટૂંકું અને સરળ હોવું જોઈએ. એક વાર ઉપયોગ થઈ ગયા પછી, નામનો ફરીથી ઉપયોગ ન કરવો જોઈએ, વગેરે.
ગુજરાતમાં 100-110 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા
હવામાન વિભાગે અરબ સાગરમાં ભારે પવન ફૂંકાવવા સહિત સમુદ્રમાં ઊંચા મોજા ઉછળવાને લઈને ચેતવણી આપી છે. અરબ સાગરમાં 55-65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવાનું જોર વધ્યું છે, જે વધીને 75 કિલોમીટર પ્રતિ કલાક સુધી થઈ શકે છે. જેમાં 3 ઑક્ટોબરની સાંજે હવાનું દબાણ 75-85 કિ.મી. પ્રતિ કલાક થવાની સંભાવના છે.
4 ઑક્ટોબરની સાંજથી 6 ઓક્ટોબરની સવાર સુધી આ સાયક્લોનિક વધુ સક્રિય થઈ શકે છે. આ દરમિયાન 100-110 કિ.મી. પ્રતિ કલાક સુધી ભારે પવન ફૂંકાવવાની શક્યતા છે. તેમજ 125 કિ.મી. પ્રતિ કલાકની પવનની ઝડપે જઈ શકે છે.
આ પણ વાંચો: વિદાય લેતા મેઘરાજા મન મૂકીને વરસ્યા, સૌરાષ્ટ્ર-કચ્છના 17 તાલુકામાં 1 થી 3 ઈંચ ખાબક્યો
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
સાયક્લોનિક શક્તિની સ્થિતિમાં ભારે પવનને લઈને હવામાન વિભાગે માછીમારોને 3થી 6 ઑક્ટોબર સુધી દરિયો ન ખેડવા અને અરબ સાગરમાં ન જવા સખ્ત સૂચના આપવામાં આવી છે.