Gujarat

માઇનોર સર્જરી કરી વિશ્વામિત્રીમાં સ્વસ્થ હાલતમાં છોડાયેલા મગરનું આંતરિક ઇજાથી મોત

By GS TEAM
15 Jun 20261 min read
માઇનોર સર્જરી કરી વિશ્વામિત્રીમાં સ્વસ્થ હાલતમાં છોડાયેલા મગરનું આંતરિક ઇજાથી મોત

વડોદરાઃ વિશ્વામિત્રી નદીમાંથી વધુ એક મગરનો મૃતદેહ મળતાં ચકચાર વ્યાપી છે.પ્રાથમિક તપાસમાં મગરને આંતરિક ઇજાઓ થવાને કારણે મોત નીપજ્યું હોવાનું બહાર આવ્યું છે.

વિશ્વામિત્રી નદીમાં સૌથી વધુ સંખ્યામાં મગરો વસવાટ કરતા હોવાથી લોકો મગરો જોવા માટે ઉમટતા હોય છે.જીવદયા પ્રેમીઓ પણ મગરો માટે ચિંતા કરતા હોય છે,અને મગરોના મોતના બનાવો અટકાવવા માગ કરી રહ્યા છે.

ચાલુ વર્ષે વિશ્વામિત્રીમાં છ મગરોના મોત નીપજવાના બનાવ બન્યા હતા.જે દરમિયાન ગઇકાલે સાંજે સયાજી હોસ્પિટલ સામે ફાસ્ટ ટ્રેક કોર્ટ નજીકથી આઠ ફૂટના મગરનો મૃતદેહ મળી આવતાં તેનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યુું હતું.

જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગના ડો.વિમલ પટેલે કહ્યું હતું કે,મગરને કિડની અને અન્ય ભાગોએ આંતરિક ઇજા જણાઇ આવી છે.એક સપ્તાહ પહેલાં આ મગરને ગુપ્ત ભાગે ઇજા થવાથી માઇનોર સર્જરી પણ કરવામાં આવી હતી.જે દરમિયાન તે સ્વસ્થ હતો.ફોરેસ્ટ વિભાગે પણ બે દિવસ સુધી રાખ્યા બાદ તેને સ્વસ્થ હાલતમાં નદીમાં છોડયો હતો.

ત્યારબાદ બે ત્રણ દિવસમાં આ મગરનું  મોત નીપજ્યું હતું,જેથી મગર પરથી કોઇ ભારદારી વાહન પસાર થયું હોય કે કોઇ વજનદાર વસ્તુ પડી હોય તેમ મનાય છે.