- પોલીસે એફ.એસ.એલની મદદથી તપાસનો ધમધમાટ તેજ કર્યો
- છેલ્લા એક મહિનામાં ગૌવંશ સાથે જોડાયેલી આ 10 મી ઘટના હોવાનું સામે આવતા ગૌભક્તોમાં રોષ : ગૌવંશના ટાર્ગેટ કિલિંગ પાછળ સક્રિય કોઈ ચોક્કસ ટોળકી હોવાના આક્ષેપ સાથે કાર્યવાહી કરવા માંગ
નડિયાદ : નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં માઈ માતાના ગરનાળા પાસે ગૌવંશનો મૃતદેહ મળતા ચકચાર મચી છે. તો બીજી તરફ મહુધાથી આગળ નર્મદાની મુખ્ય નહેરમાંથી ગૌવંશના અવશેષો મળી આવ્યા છે. જેના કારણે હિન્દુ સંગઠનોમાં ભારોભાર રોષ વ્યાપ્યો છે. આ મામલે તંત્ર દ્વારા તત્કાલ યોગ્ય તપાસ કરી અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાની માંગણી પ્રબળ બની છે.
નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારને જોડતા માઈ મંદિર નજીકના ગરનાળા પાસે ગૌવંશનો મૃતદેહ મળી આવવાની ઘટના સામે આવી છે. આ બાબતની જાણ થતા જ હિન્દુ ધર્મ સેનાના પ્રદેશ પ્રમુખ સ્થળ પર પહોંચ્યા હતા અને વીડિયો રજૂ કરી આ સમગ્ર મામલે આક્રોષ ઠાલવ્યો હતો. ગૌવંશનો મૃતદેહ હોય અને કાપીને માંસ કાઢી નાખી દીધો હોવાની પરીસ્થિતિ જણાતા આ મૃતદેહનું એફ.એસ.એલ. કરાવવાની તજવીજ હાથ ધરી હતી. સમગ્ર મામલે તત્કાલ યોગ્ય તપાસ કરવા માટે પોલીસને જાણ કરવામાં આવી હતી, પોલીસે સ્થળ પર પહોંચી જાણવાજોગ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બીજીતરફ મહુધા તાલુકાના વડથલ ગામ નજીક પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાંથી આશરે ૫૦થી વધુ ગૌવંશના કપાયેલા અંગો ભરેલા પોટલા મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. નડિયાદમાં છેલ્લા એક મહિનામાં ગૌવંશ સાથે જોડાયેલી આ ૧૦મી ઘટના હોવાનું સામે આવતા ગૌભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વડથલ નજીક નહેરમાં જે પોટલા મળી આવ્યા છે, તેમાંથી અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે અને પ્રાથમિક દ્રષ્ટિએ ગૌવંશના પગ, માથા અને કાન જેવા અંગો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે, જે સૂચવે છે કે આ કોઈ મોટા પાયે આચરેલું ક્રૂર કતલકાંડ હોઈ શકે છે. આ ઘટનાની જાણ થતા જ હિન્દુ ધર્મ સેના ગુજરાત પ્રદેશના પ્રમુખ કાર્યકરો સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાની ગંભીરતા જોઈ જેસીબીની મદદથી નહેરમાંથી પોટલા બહાર કાઢવાની તજવીજ હાથ ધરી છે. આ ઘટનાને પગલે એફ.એસ.એલની ટીમ પણ કાર્યરત કરવામાં આવી છે અને નમૂનાઓ લઈ કાયદેસરની તપાસ શરૂ કરાઈ છે.
પીવાના પાણીના સ્ત્રોત પર ખતરો
અમદાવાદના પૂર્વ અને દક્ષિણ ઝોનના વિસ્તારો જેવા કે, વસ્ત્રાલ, રામોલ, વટવા અને મણિનગર સહિતની ૩૦ ટકા વસ્તીને રાસ્કા વિયર યોજના હેઠળ પીવાનું પાણી પૂરું પાડતી શેઢી કેનાલ અને તેની સાથે જોડાયેલી આ નહેર વ્યવસ્થામાં ગૌવંશના અવશેષો ફેંકવાના કારણે પાણી દૂષિત થવાની ભીતિ સેવાઈ રહી છે. શુદ્ધ પાણીના સ્ત્રોતમાં આ પ્રકારે કતલ કરેલા પ્રાણીઓના અવશેષો પધરાવીને લોકોના આરોગ્ય સાથે પણ ગંભીર ચેડાં કરવામાં આવી રહ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલ
નડિયાદ પંથકમાં ટૂંકા ગાળામાં ગૌવંશને નુકસાન પહોંચાડવાની દસ જેટલી ઘટનાઓ બનવા છતાં તંત્ર દ્વારા કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં ન આવી હોવાનો આક્ષેપ હિન્દુ સંગઠનોએ કર્યો છે. ગૌવંશના ટાર્ગેટ કિલિંગ પાછળ સક્રિય કોઈ ચોક્કસ ટોળકી સામે કડક હાથે કામ લેવાને બદલે પોલીસ માત્ર પંચનામા અને પ્રાથમિક તપાસમાં જ અટવાયેલી રહેતી હોવાનું પણ સંગઠનના અગ્રણીઓએ જણાવ્યુ છે. ત્યારે આવા અસામાજિક તત્વો સામે તત્કાલ યોગ્ય કાર્યવાહી કરાય, તેવી માંગણી વ્યાપી છે.


