- ખડાણા ગામે હત્યાના આરોપી અટકાયત બાદ ખુલાસો
- આરોપીએ ગુસ્સામાં આવી પિતરાઈ ભાઈના ગળાના ભાગે ચપ્પાના ઘા મારીને ગુપ્તાંગ કાપી નાખ્યું હતું
આણંદ : પેટલાદ તાલુકાના ખડાણા ગામના રામદેવપીર મંદિર વાળા ફળિયામાં સોમવારે વહેલી સવારના સુમારે ખાટલામાં નિદ્રાધીન માતા સમક્ષ બીભત્સ ચેનચાળા કરનાર માસીના દિકરાને નિદ્રાધીન માતાના પુત્રએ ચપ્પાના ઘા મારી તેમજ ગુપ્તાંગ કાપી નાખી મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે.
સોમવારે પેટલાદ તાલુકાના ખડાણા ગામે બનેલી હત્યાની ઘટનામાં પોલીસે હત્યારાને ઝડપી પાડતા ચોંકાવનારો ખુલાસો થયો છે. ખડાણા ગામે રામદેવપીર મંદિર વાળા ફળિયામાં રામાભાઇ મહીજીભાઈ પરમાર માતા સાથે રહે છે. ખંભાત તાલુકાના કાણીસા ગામે રહેતા તેઓના માસા-માસી અવસાન પામતા તેમનો દીકરો બાબુભાઈ એકલો રહેતો હતો, જેથી થોડાક વર્ષો પૂર્વે બાબુભાઈ પરમાર ખડાણા ગામે રામાભાઇના ઘરે રહેવા આવી ગયો હતો. જો કે છેલ્લા કેટલાક સમયથી તે વ્યસની થઈ ગયો હતો અને અવારનવાર ઝઘડા કરી ગામમાં વિવિધ સ્થળોએ ઊંઘી રહેતો હતો.
લગભગ વીસેક દિવસ અગાઉ બાબુભાઈ પરમાર રાત્રિના સુમારે રામાભાઇના ઘરની બહાર આવ્યો હતો અને ઘરની આગળના ભાગે ઊંઘી રહેલા તેમની માતાના ખાટલા પાસે આવી બીભસ્ત ચેનચાળા કરતો હતો. આવું લગભગ બેથી ત્રણ વખત બન્યું હતું અને તેની આ હરકત રામાભાઈ જોઈ ગયો હતો જેથી તેણે બાબુભાઈને આવું નહીં કરવાનું અને ફરીથી આવું કરીશ તો મજા નહીં આવે તેમ કહી ઘર આગળ નહીં આવવા જણાવ્યું હતું. દરમિયાન સોમવારે વહેલી સવારના પાંચેક વાગ્યાની આસપાસ બાબુભાઈ ફરીથી રામાભાઈના ઘર આગળ આવી પહોંચ્યો હતો અને તેઓની માતા ખાટલામાં ઊંઘતા હતા ત્યારે બીભત્સ ચેનચાળા કરતો હતો. આ દ્રશ્ય રામાભાઇ પરમાર જોઈ જતા તેઓને ગુસ્સો આવતા તેણે ચપ્પુ લઈ આવી બાબુભાઈના ગળાના ભાગે ઉપરાછાપરી ઘા મારી તેનું ગુપ્તાંગ કાપી નાખતા ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું. આણંદ એલસીબી પોલીસે રામાભાઇ મહીજીભાઈ પરમારની અટકાયત કરી તેને પેટલાદ ગ્રામ્ય પોલીસ ના હવાલે કર્યો હતો.


