Gujarat

વડોદરાની અશોક રાજે અને રોયલ સ્કૂલ ના બે વિદ્યાર્થી કોરોના ગ્રસ્ત થતાં કોર્પોરેશનનું તંત્ર એક્શનમાં

By GS Team
3 Jan 20221 min read
This article was originally published on 3 Jan 2022
વડોદરાની અશોક રાજે અને રોયલ સ્કૂલ ના બે વિદ્યાર્થી કોરોના ગ્રસ્ત થતાં કોર્પોરેશનનું તંત્ર એક્શનમાં

વડોદરા, તા. 03

વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી પ્રિન્સ અશોક રાજે સ્કૂલ અને આજવા રોડ સ્થિત રોયલ સ્કૂલ ના બે વિદ્યાર્થી કોરોનાથી સંક્રમિત થયા હોવાની વિગતો બહાર આવતાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર એક્શન માં આવ્યું છે.

વૈશ્વિક મહામારી કોરોનાએ કોઈપણ જૂથમાં સંક્રમિત થવાની શક્યતા છોડી નથી. ઓફલાઈન સ્કૂલ શરૂ થવા સાથે દિનપ્રતિદિન શાળામાં અભ્યાસ કરતા બાળકો અને શિક્ષકો વધુને વધુ કોરોનાથી સંક્રમિત થવા લાગ્યા છે. આ વચ્ચે વિતેલા કલાકોમાં એક શિક્ષિકા તથા બે વિદ્યાર્થીઓ મળી શૈક્ષણિક ક્ષેત્રે સંકળાયેલ વધુ ત્રણ વ્યક્તિઓ કોરોનાથી સંક્રમિત બન્યા છે.

માંજલપુર ખાતે આવેલી પ્રિન્સ અશોકરાજે સ્કૂલમાં અભ્યાસ કરતો ધોરણ ૯નો વિદ્યાર્થી કોરોનાથી સંક્રમિત થયો છે. જેની કોવિડ-19 અંતર્ગત સારવાર શરૂ કરવામાં આવી છે. તેવી જ રીતે, આજવા રોડ ખાતે આવેલી રોયલ સ્કૂલમાં અભ્યાસ કરતો ધોરણ 11 સાયન્સનો વિદ્યાર્થી પણ કોરોનાથી સંક્રમિત થયો છે. છેલ્લા કેટલાક સમયથી શાળાના વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતાં રહેવાના બનાવો સતત વધી રહ્યા છે. તો બીજી તરફ પોલોગ્રાઉન્ડ ખાતે આવેલી અન્ય એક સ્કૂલની શિક્ષિકાને થોડા દિવસો પહેલા શરદી, ખાંસી, તાવ વગેરે જેવા લક્ષણો સાથે બીમારી સપડાયા હતા. જેમનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવતા તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ વિતેલા કલાકોમાં શૈક્ષણિક ક્ષેત્રે સંકળાયેલા વધુ ત્રણ વ્યક્તિઓ કોરોનાની ઝપટમાં આવતા તેઓના સંપર્કમાં આવેલાઓની આરોગ્યલક્ષી ચકાસણી પાલિકા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.