વડોદરા શહેરના વૃંદાવન ચાર રસ્તા પાસે આવેલ મહાલક્ષ્મી સોસાયટીના આંતરિક રસ્તા પર ઉભા કરી દેવામાં આવેલા 30 જેટલા ઓટલા, કમ્પાઉન્ડ વોલ વગેરે તોડી પાડવામાં આવ્યા હતા. ટીડીઓના કાર્યક્રમ અંગે પાલિકાની દબાણ શાખાએ પોલીસ બંદોબસ્ત સાથે રાખીને કામગીરી કરવામાં આવી હતી. એવી જ રીતે સનફાર્મા રોડ પરથી હંગામી દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
શહેરના વૃંદાવન ચાર રસ્તા પાસે આવેલ મહાલક્ષ્મી સોસાયટીના આંતરિક રોડ પર કેટલાક રહીશોએ રોડ લાઈન પર પોતાના ઓટલા, કમ્પાઉન્ડ વગેરે બનાવી દીધા હતા. અંદાજે 30 જેટલા નડતરરૂપ દબાણ મામલે પાલિકા તંત્રને ફરિયાદ મળી હતી. જેથી રહીશોને તેમના દબાણો હટાવી લેવા પાલિકા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં અહીંના દબાણો યથાવત રાખવામાં આવ્યા હતા. આખરે આજે પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગની સૂચના હેઠળ દબાણ શાખાની ટીમે સ્થાનિક પોલીસ બંદોબસ્ત મેળવ્યા બાદ અહીંના 30 જેટલા ઓટલા, કમ્પાઉન્ડ વોલ વગેરે તોડી પાડ્યા હતા. તેવી જ રીતે અક્ષર ચોક બ્રિજથી સનફાર્મા રોડ પર જતા હંગામી દબાણના કારણે અહીં ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. જેના કારણે તંત્રએ અહીંથી હંગામી દબાણો દૂર કરવા સાથે ત્રણ ટ્રક જેટલો સામાન કબજે કર્યો હતો.


