Gujarat

વડોદરા: કારેલી બાગની સોનિયાનગરના 110 ઝૂંપડા પર કોર્પોરેશનએ બુલડોઝર ફેરવ્યું

By GS Team
4 Dec 20211 min read
This article was originally published on 4 Dec 2021
વડોદરા: કારેલી બાગની સોનિયાનગરના 110 ઝૂંપડા પર કોર્પોરેશનએ બુલડોઝર ફેરવ્યું

વડોદરા, તા. 04 ડિસેમ્બર 2021 શનિવાર

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી સોનિયા નગર વસાહતના 110 જેટલા કાચા-પાકા મકાનો તોડી પાડવા કોર્પોરેશન દ્વારા ગત સોમવારે ડિમોલીશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે પોલીસ બંદોબસ્ત ન મળતા ડિમોલિશનની કામગીરી મુલતવી રાખવાનો વારો આવ્યો હતો. દરમ્યાન આજરોજ ફરી એક વખત દબાણ શાખાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે સોનિયા નગર વસાહત પહોંચી હતી અને તમામ દબાણો દૂર કર્યા હતા.

કારેલીબાગ વિસ્તારમાં આવેલી સોનિયા નગર વસાહતમાં કાચા પાકા 250 જેટલા આવાસો હતા. અગાઉ ડિમોલિશનની કામગીરી બાદ 110 જેટલા મકાનોની પોલીસની કામગીરી અધૂરી રહી હતી કારણ કે, પાલિકાએ નક્કી કરેલી 21 હજારની રકમ મુજબ લાભાર્થીઓને મકાન ફાળવવાના બદલે 50 હજાર રકમ ભરવા જણાવતા રહીશો લડત ચલાવી રહ્યા હતા. અગાઉ અનેકવાર સ્થાનિકોને દબાણ દૂર કરવા પાલિકા તરફથી નોટિસ ફટકારવામાં આવી હતી. જે નોટિસનો રહીશોએ સ્વીકાર કર્યો હતો. જે બાદ ફરી જાહેર નોટીસ થકી સાત દિવસમાં દબાણો દૂર કરવા પાલિકાએ જણાવ્યું હતું.  

અત્રે નોંધનીય છે કે, નાગરવાડા ટીપી સ્કીમ નંબર 9માં ફાઇનલ પ્લોટ નંબર 328, 300, 326 અને 327 માં કલેકટર હસ્તકના પ્લોટમાં સોનિયા નગર વસાહત આવેલી હતી.