Gujarat

કોરોનાના મૃતકોનાં સહાય ફોર્મ જ ભાજપ સરકારની પોલ ઉઘાડશે

By GS Team
19 Nov 20212 mins read
This article was originally published on 19 Nov 2021
કોરોનાના મૃતકોનાં સહાય ફોર્મ જ ભાજપ સરકારની પોલ ઉઘાડશે

સરકારને ડર : સહાય માટે હજારો અરજીઓ આવે તેવી વકી

પહેલાં કોરોનાથી મૃત્યુ થયું છે તે સાબિત કરો પછી સહાયની વાત, કલેક્ટર કચેરીમાં પણ ફોર્મનું વિતરણ શરૂ

અમદાવાદ : સુપ્રિમ કોર્ટના દિશાનિર્દેશને પગલે  ગુજરાત સરકારે કોરોનામાં મૃત્યુ પામેલાં લોકોને રૂા.50 હજાર સહાય આપવા જાહેરાત કરી છે પણ  પરિવારજનોએ પહેલાં મૃતકનું કોરોનાથી જ મૃત્યુ થયુ છે તે સાબિત કરવુ પડશે પછી જ સહાય મળશે.

મોટાભાગના મૃતકોના મરણના દાખલામાં મૃત્યુનુ કારણ જ દર્શાવાયુ નથી ત્યારે અમદાવાદ સહિતના શહેરોમાં  ડેથ સર્ટી. માટે  ફોર્મ વિતરણ શરૂ કરાયુ છે. પ્રથમ દિવસે સિવિક સેન્ટર પર ફોર્મ વિતરણ શરૂ કરાયુ છે. ભાજપ સરકારને ડરછેકે, હજારોની સંખ્યામાં અરજીઓ થશે. આ જોતાં કોરોનાનો સાચો મૃત્યુઆંક બહાર આવે તેવી વકી છે જેથી સરકાર માટે નવી રાજકીય ઉપાધિ આવે તેમ છે.

કેન્દ્ર સરકારે કોરોનાના મૃતકના પરિવારજનને રૂા.50 હજાર સહાય આપવા ઘોષણા કરી છે. ગુજરાત સરકાર માટે મુસિબત એ થઇ છેકે, સરકારી ચોપડે કોરોનાનો મૃત્યુઆંક 10,090 છે. હવે રૂા.50 હજારની સહાય મેળવવા માટે અત્યારથી અરજીઓ કરવા કલેક્ટર કચેરી, મ્યુનિ.કોર્પોરેશન અને પંચાયત કચેરીઓમાં લોકોની ભીડ જામી રહી છે.

અત્યારે તો પ્રથમ તબક્કામાં અમદાવાદ સહિત અન્ય શહેરોમાં સિવિક સેન્ટરો પર ડેથ સર્ટિ.માં મૃત્યુના કારણ દર્શાવવા માટે ફોર્મ વિતરણ  શરૂ કરાયુ છે. પ્રથમ દિવસે સિવિક સેન્ટરો પર ફોર્મ લેવા લોકોનો ધસારો રહ્યો હતો. એટલું જ નહીં, મ્યુનિ. કોર્પોરેશનની વેબસાઇટ પર ફોર્મ ડાઉનલોડ કરીને લોકોએ ફોર્મ મેળવી લીધાં હતા. મ્યુનિ.સત્તાધીશોએ પ્રથમ દિવસે કેટલાં ફોર્મ વહેચાયાં તે અંગે પ્રતિક્રિયા આપવાનું ય ટાળ્યુ છે. 

ભાજપ સરકારને ભીતિ છેકે, ગુજરાતમાં કોરોનાના મૃતકો માટેની સહાય મેળવવા માટે હજારો અરજીઓ આવી શકે છે પરિણામે કોરોનાનો સાચો મૃત્યુઆંક બહાર આવી શકે છે. આ અગાઉ પર કોરોનામાં માતાપિતા મૃત્યુ પામ્યા હોય તેવા નિરાધાર બાળકો મોટની યોજનામાં હજારો ફોર્મ ભરાતાં કોરોનાના મૃત્યુઆંકને લઇને સરકાર સામે આંગળી ચિંધાઇ હતી. 

સરકારે પહેલાં કોરોનાથી જ મૃત્યુ થયુ છે કે કેમ તેની પુરતી ચકાસણી કર્યા પછી જ સહાયનુ ફોર્મ ભરવા નક્કી કર્યુ છે. પણ મોટાભાગના ડેથ સર્ટિફિકેટમાં મૃત્યુનુ કારણ દર્શાવાયુ નથી. એટલું જ નહીં, મૃત્યુનુ કારણ નક્કી કરવા માટે સરકારે કમિટી નિમવા નક્કી કર્યુ છે.  હવે મૃત્યુના કારણને લઇને અધિકારીઓ અને મૃતકના સ્વજનો વચ્ચે રકઝક થાય તેવા એંધાણ વર્તાઇ રહયા છે. આ ઉપરાંત કોંગ્રેસ આ મુદ્દાને રાજકીય વળાંક આપે તેવી પણ શક્યતા જોવાઇ રહી છે. આ જોતાં સરકાર આ મામલે ઘેરાઇ શકે છે.