Gujarat

સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત નવા આઠ કેસ : એકનું મોત

By GS Team
17 Jul 20202 mins read
This article was originally published on 17 Jul 2020
સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત નવા આઠ કેસ : એકનું મોત

અમદાવાદ, પ્રાંતિજતા.16 જુલાઈ, 2020, ગુરૂવાર

સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ બેકાબૂ થઇ રહ્યુ છે. છેલ્લા ૨૪ કલાકમાં જીલ્લામાં વધુ આઠ કેસ નોધાતાની સાથે કુલ આંકડો ૨૭૫ પર પહોંચી ગયો છે ખાસ કરીને કોરોના પોઝેટીવના વધુ કેસ હિંમતનગર અને પ્રાંતિજ તાલુકામાં વધુ નોધાયા છે. જયારે પ્રાંતિજમાં એક દર્દીનું કોરોનાથી મોત નિપજ્યુ છે. જે સાથે જિલ્લામાં કોરોનાથી કુલ નવ દર્દીના મોત થયા છે.

હિંમતનગરના અનેક નવા વિસ્તારોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે અને અન્ય નવા વિસ્તારોમાં કોરોના પોઝેટીવના દર્દીઓ પ્રકાશમાં આવતા વહીવટીતંત્ર દોડતું થયું હતું.  તંત્રના જણાવાયા મુજબ હિંમતનગર શહેર અને તાલુકામાં અત્યાર સુધી સાત વિસ્તારોને કન્ટેઈનમેન્ટ ઝોનમાં મુકી દેવામાં આવ્યા છે. દરમ્યાન છેલ્લા ૨૪ કલાકમાં જે કેસ નોંધાયા છે તેમાં હિંમતનગરમાં આવેલી કચ્છી સોસાયટીમાં ૬૪ વર્ષિય પુરૂષ, પોલોગ્રાઉન્ડમાં ૮૫ વર્ષિય મહિલા જ્યારે મોટી વોહરાવાડમાં રહેતા ૭૫ વર્ષિય મહિલાનું કોરોના રીપોર્ટ પોઝેટીવ આવ્યો છે.પ્રાંતિજ તાલુકામાં કોરોનાના કેસોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થતો જોવા મળ્યા છે પ્રાંતિજ શહેરના ૨૭ કોરોનાના કેસો સહિત તાલુકામાં કુલ ૬૫ કોરોનાના કેસો નોંધાયા છે . પ્રાંતિજ શહેરના જનતા સોસાયટીમાં રહેતા ૭૯ વર્ષિય વૃદ્ધ ભોળાભાઈ કેશાભાઈ પટેલને કોરોના પોઝિટિવ આવતા  સારવાર માટે અમદાવાદ ખાતે લઈ જવાયા હતા જયાં ગુરૂવારના રોજ સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.આ સાથે પ્રાંતિજ તાલુકામાં કોરોનાને કારણે મૃત્યુ પામનાર કુલ કેસોનો આંકડો ૩ પર પહોંચ્યો છે.  જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝેટીવના સૌથી વધુ કેસ હિંમતનગર તાલુકામા ૧૧૫, પ્રાંતિજ ૬૪, ઈડરમાં ૩૬, તલોદમા ૨૧૨ , વડાલી,૧૪, ખેડબ્રહ્માં ૧૨ અને વિજયનગરમાં ૯ કેસ ઉપરાંત પોશીનામાં ત્રણ કેસ નોધાઈ ચુક્યા છે.