Gujarat

કોરોના કોર્પોરેશનને પણ નડયો ટેક્સની આવકમાં 3 ગણો ઘટાડો

By GS Team
30 Jun 20202 mins read
This article was originally published on 30 Jun 2020
કોરોના કોર્પોરેશનને પણ નડયો ટેક્સની આવકમાં 3 ગણો ઘટાડો

ગાંધીનગર, તા. 30 જૂન 2020, મંગળવાર

કોરોનાના કપરા કાળમાં સામાન્ય લોકોની તો હાલત ખરાબ થઈ ગઈ છે પરંતુ સરકારની આવકમાં પણ ગાબડા પડયા છે. ત્યારે ગાંધીનગર કોર્પોરેશનની ટેક્સની આવકને પણ કોરોના નડી ગયો છે. ગત જુન મહિના સુધીમાં કોર્પોરેશનને ૧૮ કરોડ રૃપિયા જેટલી મિલકત વેરાની માતબર રકમ મળી હતી તેની સામે આ વર્ષે જુન મહિના સુધીમાં ફકત ૬.૪૦ કરોડ જેટલી જ ટેક્સની આવક થઈ છે.  

ગત વર્ષે ૧૮ કરોડે પહોંચેલી મિલકત વેરાની આવક ચાલુ વર્ષે જુન મહિના સુધીમાં ૬.૪૦ કરોડે પહોંચી

સમગ્ર વિશ્વ હાલ કોરોના સામે લડાઈ લડી રહયું છે ત્યારે કોરોનાની મહામારીના કારણે આર્થિક રીતે પણ દેશના અનેક રાજયોને ફટકો પડયો છે. બે મહિના સુધી સતત લોકડાઉનના કારણે લોકોની આર્થિક સ્થિતિ પણ કફોડી બની છે. આવી સ્થિતિમાં વેપાર ધંધા પૂર્વવત કરવા માટે સરકાર મથી રહી છે અને હવે અનલોક તરફ પ્રક્રિયા આગળ ધપાવી છે. જો કે હજુ પણ બજારોમાં જોઈએ તેવી તેજી જોવા મળી નથી. લોકો ખરીદી કરવા બહાર નહીં જતાં હોવાના કારણે વેપાર ધંધા જોઈએ તે પ્રમાણે ધમધમતાં થયા નથી. કોરોનાના આ કાળમાં લોકોની સાથે વિવિધ સ્વાયત સંસ્થાઓની આવકને પણ ફટકો પડયો છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વસુલવામાં આવતાં મિલકતવેરાને પણ કોરોનાની અસર નડી ગઈ છે. ગત વર્ષે જુન મહિના સુધીમાં કોર્પોરેશનને મિલકતવેરા પેટે ૧૮ કરોડ રૃપિયા જેટલી આવક થઈ ગઈ હતી ત્યારે ચાલુ વર્ષે કોરોના કાળ અને તેમાં બે મહિનાના લોકડાઉનના કારણે ગાંધીનગર કોર્પોરેશનને મિલકત વેરા પેટેની આવક હજુ ૬.૪૦ કરોડ ઉપર જ પહોંચી છે. નોંધવું રહેશે કે કોર્પોરેશન દ્વારા તા.૩૧ જુલાઈ સુધી એડવાન્સ મિલકતવેરો ભરનારને ૧૦ ટકા રાહત આપવામાં આવી રહી છે જેમાં જુના બિલ ઉપર જ વેરો ભરીને વળતર મેળવી શકાય છે. કોરોનાના કારણે લોકો હજુ કચેરીઓમાં નહીં આવવાના કારણે તેમજ આર્થિક સ્થિતિ પણ ડામાડોળ થઈ હોવાથી સરકારી આવકો ઘટી રહી છે.