Gujarat

કોંગ્રેસમાં વિપક્ષનેતાનો વિવાદ ઉત્તરાયણ બાદ મ્યુનિ.વિપક્ષ નેતા બદલવા કોર્પોરેટરો દ્વારા રજુઆત

By GS Team
11 Jan 20231 min read
This article was originally published on 11 Jan 2023
કોંગ્રેસમાં વિપક્ષનેતાનો વિવાદ  ઉત્તરાયણ બાદ મ્યુનિ.વિપક્ષ નેતા બદલવા કોર્પોરેટરો દ્વારા રજુઆત

  અમદાવાદ,બુધવાર,11 જાન્યુ,2023

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષનેતા પદને લઈ ફરી એક વખત વિવાદ સપાટી ઉપર આવ્યો છે.બુધવારે મ્યુનિ.કોંગ્રેસ પક્ષના આઠ કોર્પોરેટરોએ પ્રદેશ પ્રમુખને રુબરુ મળી જો કોંગ્રેસ જામનગરમાં નેતા બદલી શકતી હોય તો અમદાવાદમા પણ બદલવા રજુઆત કરતા ઉત્તરાયણ બાદ મ્યુનિ.વિપક્ષનેતા પદનો પ્રશ્ન ઉકેલવા કોર્પોરેટરોને હૈયાધારણ આપી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્ષ-૨૦૨૧માં ચૂંટણી યોજાઈ હતી.બાદમા એક વર્ષ સુધી મ્યુનિસિપલ કોર્પોરેશનમા કોંગ્રેસ વિપક્ષનેતાની નિમણૂંક કરી શકી નહોતી.ગત વર્ષે જાન્યુઆરીમા કોંગ્રેસ તરફથી મ્યુનિ.વિપક્ષનેતા તરીકે શહેજાદખાન પઠાણની એક વર્ષના સમય માટે નિમણૂંક કરવામા આવી હતી.હવે વર્ષ પુરુ થતા મ્યુનિસિપલ કોંગ્રેસપક્ષમા વિપક્ષનેતા પદને લઈ ફરીથી કકળાટ શરુ થયો છે.

પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના રહેઠાણ ઉપર કોંગ્રેસના ચાંદખેડાના કોર્પોરેટર રાજશ્રી કેસરી, ગોમતીપુરના ઈકબાલ શેખ, ઝુલ્ફીખાન પઠાણ, દરીયાપુરના માધુરી કલાપી ઉપરાંત કુબેરનગરના કામીની ઝાની સાથે મકતમપુરાના હાજી અસરાર બેગ, બહેરામપુરાના કમળાબેન ચાવડા અને તસ્લીમ આલમ તિરમિજી દ્વારા પ્રદેશ પ્રમુખને સ્પષ્ટ શબ્દોમા કહેવામા આવ્યુ હતુ કે,જો જામનગરમા પહેલા વર્ષે આનંદ રાઠોડ અને બીજા વર્ષ માટે ધવલ નંદાને વિપક્ષનેતા તરીકે નિમણૂંક આપી પક્ષ આપી શકતુ હોય તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમા પણ વિપક્ષનેતા બદલવામા આવે.વિપક્ષનેતા તરીકે ૧૦ જાન્યુઆરીએ શહેજાદખાનની નિમણૂંકને એક વર્ષ પુરુ થતા ફરી પ્રદેશ પ્રમુખ સમક્ષ કોર્પોરેટરોએ રજુઆત કરી હતી.