Get The App

વોર્ડ નં. 8માં કાઉન્સિલરના બોર્ડ મામલે વિવાદ ગરમાયો

બોર્ડ કાપી ચોરીની ફરિયાદ વચ્ચે સામાજિક કાર્યકર્તાનો કટાક્ષ, “ગેરકાયદેસર બોર્ડ પર પહેલા કાર્યવાહી કરો”

Updated: Feb 20th, 2026

GS TEAM

Google News
Google News
વોર્ડ નં. 8માં કાઉન્સિલરના બોર્ડ મામલે વિવાદ ગરમાયો 1 - image


વડોદરા શહેરના વોર્ડ નંબર 8માં કાઉન્સિલરના નામ-સરનામા સાથે લગાવાયેલા દિશાસૂચક બોર્ડને એંગલથી કાપી હટાવી દેવાતા વિવાદ વણસતા મામલો હવે પોલીસ સુધી પહોંચ્યો છે.

વોર્ડ નં. 8ની કાઉન્સિલર મીનાબા ચૌહાણે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના નિવાસસ્થાન બહાર લોકસેવા અર્થે બે ફૂટનું બોર્ડ લગાવવામાં આવ્યું હતું. અજાણ્યા શખ્સે લોખંડના પાઇપને કાપી આખું બોર્ડ લઈ જતા નુકસાન થયું છે.

ફરિયાદમાં તેમણે જણાવ્યું કે સોશિયલ મીડિયા દ્વારા જાણ થઈ હતી કે, સમતા વિસ્તારમાં રહેતા સામાજિક કાર્યકર્તા સ્વેજલ વ્યાસે બોર્ડ ઉતારવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને ધમકી આપી હતી. તેમજ સોશિયલ મીડિયા પર “તમારું બોર્ડ ઉતારીને જ રહીશ” એવી ટિપ્પણી કરી કોર્ટમાં જવાની પણ ચેતવણી આપી હતી. જેના આધારે તેમને શંકા વ્યક્ત કરી છે.

બીજી તરફ, સ્વેજલ વ્યાસે સોશિયલ મીડિયા પોસ્ટમાં ખુલાસો કર્યો છે કે, કરોડિયા રોડ વિસ્તારમાં તેમના ધાર્મિક પ્રસંગના હોર્ડિંગ્સ કોર્પોરેશન દ્વારા હટાવવામાં આવ્યા હતા. તેમના જણાવ્યા મુજબ, સ્થાનિક મહિલા કાઉન્સિલરના પંચવટી નજીકના હોર્ડિંગ હટાવવાના આદેશ બાદ તેમના હોર્ડિંગ્સ પણ ઉતારવામાં આવ્યા હતા.

 વધુમાં જણાવ્યું છે કે, કાયદા વિરુદ્ધ લોખંડનું દિશાસૂચક બોર્ડ પરવાનગી વગર લગાવવામાં આવ્યું હતું. કોર્પોરેશન પાસે સત્તા હોવા છતાં કાર્યવાહી ન થતાં “મારા બોર્ડનો બદલો લેવા” ચાર દિવસ અગાઉ તે બોર્ડ હટાવી દીધું હોવાનું સ્વીકાર્યું છે. સાથે જ કટાક્ષ કર્યો છે કે ગેરકાયદેસર બોર્ડ લગાડનાર સામે કાર્યવાહી કરવા બદલે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવવી નવાઈની વાત છે.

આ  અંગે જવાહરનગર પોલીસ દ્વારા ફરિયાદના આધારે તપાસ હાથ ધરાઈ છે.