Get The App

અમદાવાદમાં રોગચાળો નાથવા ગૃહમંત્રી શાહ મેદાને, CM-મેયર સાથે ચર્ચા, 40 ટીમ ઘેર-ઘેર સરવે કરવા દોડી

Updated: Jun 5th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં રોગચાળો નાથવા ગૃહમંત્રી શાહ મેદાને, CM-મેયર સાથે ચર્ચા, 40 ટીમ ઘેર-ઘેર સરવે કરવા દોડી 1 - image


Contaminated Water Outbreak in Ahmedabad: અમદાવાદના ઘાટલોડિયા અને ગોતા વિસ્તારમાં પીવાના દૂષિત પાણીથી ચાર દિવસમાં એકાદ હજાર લોકો બીમાર પડ્યા હોવાની ચોંકાવનારી બાબત સામે આવતા, આ રોગચાળો નાથવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મેદાનમાં ઉતરવું પડ્યું છે. આ બાબત જ અમદાવાદ મ્યુનિસિપલની કામગીરીનો પરિચય આપી જાય છે. હાલમાં સ્થિતિ કાબૂમાં હોવાનો દાવો તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.

સોસાયટીઓને ટેન્કર દ્વારા પાણી વિતરણ, મ્યુનિસિપલ ટાંકીઓ સાફ કરાવી આપશે

ગાંધીનગર લોકસભા મતક્ષેત્રમાં આ વિસ્તાર આવતો હોવાથી કેન્દ્રીય ગૃહમંત્રીએ ગઈકાલે (ચોથી જૂન) મુખ્યમંત્રી અને મેયર સાથે ટેલિફોનિક વાત કરીને પરિસ્થિતિની જાણકારી મેળવી હતી. તેમજ મ્યુનિસિપલ કમિશનર, આરોગ્ય વિભાગ અને પાણી-પુરવઠા વિભાગના અધિકારીઓને તાત્કાલિક જરૂરી પગલાં લેવા સૂચના આપી હતી. નોંધનીય છેકે, પીવાના દૂષિત પાણીના કારણે ગોતા વોર્ડમાં આવતી ચારથી પાંચ સોસાયટીઓમાં ચાર દિવસમાં એકાદ હજાર લોકો ઝાડા-ઉલટી અને પેટના રોગોનો ભોગ બન્યા હતા. 

મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની સ્પષ્ટ બેદરકારી આ કિસ્સામાં સામે આવી છે. લોકો ચાર દિવસથી રજૂઆતો કરતા હોવા છતાં અસરકારક પગલાં લેવામાં આવ્યા નહોતા. દરમિયાનમાં આરોગ્ય વિભાગની 40 ટીમો દ્વારા આ વિસ્તારમાં ઘરે ઘરે ફરીને સર્વે કરી ક્લોરિનની ગોળીઓનું વિતરણ કરાઈ રહ્યું છે. જ્યારે સોસાયટીઓમાં ટેન્કર દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. મ્યુનિસિપલના ઈજનેરો અને ટેકનિકલ સુપરવાઈઝરોને સોસાયટીઓની પાણીની ટાંકીઓ ચકાસી જરૂર પડ્યે મ્યુનિસિપલ દ્વારા ટાંકીઓ સાફ કરાવી આપવાની સૂચના પણ આપવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં 5 દિવસ તોફાની પવન સાથે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં યલો ઍલર્ટ


પાણીના 19 નમૂના લેવાયા, હજી 11 લોકો દવાખાનામાં દાખલ

ઘાટલોડિયાના અસરગ્રસ્ત વિસ્તારોમાંથી પાણીના 19 નમૂના તપાસ માટે લેવામાં આવ્યા હોવાનું મ્યુનિસિપલના આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે. બુધવારે (ત્રીજી જૂન) 11 લોકો જુદા જુદા દવાખાનામાં સારવાર હેઠળ હોવાનું પણ તંત્રએ જણાવ્યું છે