Gujarat

વડોદરા મહાનગર આયોજન સમિતિની ચૂંટણીનો કોંગ્રેસ દ્વારા બહિષ્કાર

By GS Team
8 Nov 20212 mins read
This article was originally published on 8 Nov 2021
વડોદરા મહાનગર આયોજન સમિતિની ચૂંટણીનો કોંગ્રેસ દ્વારા બહિષ્કાર

વડોદરા, તા. 8 નવેમ્બર 2021 સોમવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન મતવિસ્તારમાં વડોદરા મહાનગરના ચૂંટાયેલા સભ્યો દ્વારા વડોદરા મહાનગર આયોજન સમિતિના 30 સભ્યોની ચૂંટણી તારીખ 25ના રોજ યોજાનાર છે. ગઈ તારીખ 2 ના રોજ ભાજપના 30 સભ્યોએ ફોર્મ ભર્યા હતા. આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો અને કોંગ્રેસે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.  

આજે કોર્પોરેશનમાં વિરોધ પક્ષ કોંગ્રેસના નેતાએ આવેદનપત્ર સુપરત કરતા આ મુદ્દે રજૂઆત કરી હતી કે ભાજપ દ્વારા છેલ્લા 15-વર્ષથી ચૂટ્ણી યોજી નહોતી. જેથી મહાનગર આયોજન સમિતિની રચના કરવા હાઇકોર્ટ દ્વારા ઓર્ડર થતાં ગઈ વખતે ચૂંટણી યોજાઇ હતી.

પરતું આયોજન સમિતિ ફક્ત કાગળ પર રાખી હતી. છેલ્લા પાંચ વર્ષમાં સમિતિની એક પણ બેઠક ન મળી ન હતી. હવે ફરીથી ચૂંટણી યોજાઇ રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આયોજન સમિતિ  મહત્વની છે પરંતુ તેની રચનામાં અને બંધારણમાં સુધારાની પણ આવશ્યકતા જણાઈ રહી છે. પાંચ વર્ષ અગાઉ  રાજ્ય સરકારે ગુજરાત મહાનગર આયોજન સમિતિ દરેક મુખ્ય શહેરોમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં લોક સુવિધાના કામો નક્કી કરવા તેમજ તેના અમલ માટે સમિતિમાં 45-સભ્યોની નિમણૂક કરવાનું નક્કી કર્યું હતું. જેમાં સમિતિની રચના કરવામાં વિલંબ થતાં મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો, ત્યારબાદ આ સમિતિની રચના પણ કરવામાં આવી હતી, પરંતુ આ સમિતિનું કોઈ વજુદ રહ્યું ન હતું.

પ્રથમ વખત થયેલી ચૂંટણી બાદ 30 કોર્પોરેટર સભ્યોને મતદાન બાદ બીજી બેઠક માટે એજન્ડા સુધ્ધા મળ્યો ન હતો. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવી ચૂંટાયેલી પાંખે સત્તા મેળવ્યા બાદ ફરી એકવાર વડોદરા મહાનગર આયોજન સમિતિની રચના કરવા માટે ચુંટણી 25 તારીખે યોજાવાની છે. આ સમિતિમાં કુલ 45 સભ્યની નિમણૂક કરવામાં આવશે. 

45-સભ્યોમાંથી 30-સભ્યોની નિમણૂક માટે ચૂંટણી થશે. જેના ઉમેદવારો અને મતદારો પણ કોર્પોરેટર જ રહેશે. આ સમિતિમાં 8 સભ્ય સરકાર નિયુક્ત અને 7 તજજ્ઞનો સમાવેશ કરવામાં આવશે. બાકીના 30-સભ્ય હાલના ચૂંટાયેલા કોર્પોરેટર રહેશે. 

પાલિકાના 30 ચૂંટાયેલા કોર્પોરેટરની નિમણૂક કરવા માટે ચૂંટણી કરવામાં આવશે, જેમાં હાલના 76 ચૂંટાયેલા કોર્પોરેટર પોતે જ ઉમેદવાર રહેશે અને મતદારો પણ તે જ રહેશે. પાંચ વર્ષમાં જેની એક પણ બેઠક મળી ન હતી તેવી સમિતિની ફરી એક વખત ચૂંટણી કરવાનું ફરમાન પાલિકાને આપ્યું છે. જેને તેમણે ફારસ ગણાવી ચૂંટણીનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું હતું.