Ahmedabad News : અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા રહેતી હોય છે. જેને લઈને અમદાવાદ શહેરમાં લક્ઝરી-ST બસોના પ્રવેશ પર બ્રેક લાગી શકે છે. કોમનવેલ્થ સુધીમાં ટ્રાફિક ઘટાડવા સરકાર-AMC દ્વારા મોટો નિર્ણય લેવાની તૈયારીમાં છે. શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શના વાઘેલાએ સંકેત આપ્યા છે કે, આગામી સમયમાં શહેરની અંદર ST અને ખાનગી લક્ઝરી બસોની અવરજવર બંધ કરવામાં આવી શકે છે.
અમદાવાદમાં આયોજિત 'મોબીલિટી એક્ઝિબિશન' માં હાજરી આપતા મંત્રી દર્શના વાઘેલાએ જણાવ્યું હતું કે, 'શહેરના આંતરિક ટ્રાફિકને સુવ્યવસ્થિત કરવા માટે લોકલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પર વધુ ભાર મૂકવામાં આવશે.'
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, 'શહેરમાં ટ્રાફિકનું ભારણ રહેતું હોય છે, ત્યારે અમદાવાદના પૂરા રિંગ રોડ પર ભારે વાહનોને રોકીને ત્યાંથી BRTS-AMTS અથવા મેટ્રો કનેક્ટિવિટી આપીને એસટી બસ-ખાનગી લક્ઝરી બસો સિટીમાં ન પ્રવેશે અને ટ્રાફિક હળવો થાય તેને લઈને અમારો પ્રયત્ન છે.'


