Get The App

છોટા ઉદેપુર: નસવાડીના જામલી જંગલમાં ભીષણ આગ, વન્યજીવોના જીવ જોખમમાં

Updated: Mar 29th, 2026

GS TEAM

Google News
Google News
છોટા ઉદેપુર: નસવાડીના જામલી જંગલમાં ભીષણ આગ, વન્યજીવોના જીવ જોખમમાં 1 - image


Chhota Udepur Forest Fire: છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ સતત વધી રહી છે. ગઢબોરીયાદ રેન્જ હેઠળ આવતા જામલી ગામના જંગલ વિસ્તારમાં ભીષણ આગ ફાટી નીકળતા વન્ય સંપદાને મોટું નુકસાન પહોંચ્યું છે. આગ એટલી વિકરાળ છે કે વન્યપ્રાણીઓએ પોતાનો જીવ બચાવવા માટે સુરક્ષિત સ્થળોએ ભાગવું પડ્યું છે.

વન્યજીવોના મોતથી વનવિભાગ ચિંતિત

મળતી માહિતી અનુસાર, નસવાડી તાલુકાના જંગલ વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી આગનો સિલસિલો યથાવત્ છે. કુકરદા બાદ હવે જામલી ગામના જંગલમાં લાગેલી આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આ આગમાં અસંખ્ય નાના-મોટા વન્યજીવો અને પક્ષીઓના મોત નિપજ્યા છે. સતત લાગતી આગને કારણે વનવિભાગના કર્મચારીઓ પણ હેરાન-પરેશાન થઈ ગયા છે.

આ પણ વાંચો: નર્મદા: તિલકવાડામાં પરિક્રમાવાસીઓ પર શ્વાનનો આતંક, 16 શ્રદ્ધાળુઓને બચકા ભર્યા

અપૂરતો સ્ટાફ અને ભૌગોલિક પડકારો

જામલી ગામે લાગેલી આગને ઓલવવા માટે વનવિભાગના માત્ર ચાર જ કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી શક્યા હતા. આગનો વ્યાપ જોતા આ સ્ટાફ અત્યંત ઓછો સાબિત થઈ રહ્યો છે, જેના કારણે આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ બન્યો છે. વધુમાં, જંગલનો વિસ્તાર ડુંગરાળ અને દુર્ગમ હોવાને કારણે ફાયર બ્રિગેડના વાહનો ત્યાં પહોંચી શકતા નથી, જે સૌથી મોટો પડકાર બની રહ્યો છે.

વન સંપદાને ભારે નુકસાન

ઉનાળાની શરૂઆતમાં જ જંગલોમાં લાગતી આગને કારણે કિંમતી વૃક્ષો અને ઔષધિઓ બળીને ખાખ થઈ રહી છે. વનવિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે સ્થાનિક ગ્રામજનોની મદદ લેવાઈ રહી છે, પરંતુ પૂરતા સાધનોના અભાવે આગ સતત પ્રસરી રહી છે. વનવિભાગ હવે તપાસ કરી રહ્યું છે કે આ આગ કુદરતી રીતે લાગી છે કે કોઈ અસામાજિક તત્વો દ્વારા લગાડવામાં આવી છે.