બરોડા ડેરીની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે 'ઈલુ ઈલુ'?: છોટાઉદેપુરની 4 બેઠકો બિનહરીફ કરવા 'સેટિંગ'ના ખેલની ચર્ચા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Chhota Udaipur News: સહકારી સંસ્થાઓમાં રાજકારણ અને અંગત સંબંધો કેવી રીતે હાવી થઈ જાય છે, તેનો જીવંત નમૂનો બરોડા ડેરીની ચૂંટણીમાં જોવા મળી રહ્યો છે. વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાની સંયુક્ત સંસ્થા એવી બરોડા ડેરીમાં છોટાઉદેપુર જિલ્લાની 5 બેઠકો ફાળે આવે છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, જે બેઠકો પર ખરાખરીનો જંગ હોવો જોઈએ, ત્યાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે 'મીઠી સમજૂતી' હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
સંબંધોની સાંકળ અને બિનહરીફનો તખ્તો
બરોડા ડેરીમાં સૌથી વધુ દૂધ છોટાઉદેપુર જિલ્લો આપે છે, પરંતુ અહીંના રાજકીય સમીકરણો કંઈક અલગ જ છે. 4 બેઠકો પર નેતાઓને બિનહરીફ ચૂંટવા માટે ભાજપે જાણે લોખંડી તખ્તો ગોઠવી દીધો છે, જેમાં કોંગ્રેસના મૌન ટેકાની ગંધ આવી રહી છે.
નસવાડી બેઠક:
અહીં બરોડા ડેરીના ઉપપ્રમુખ જી.બી. સોલંકી ચૂંટણી લડે છે. વર્ષોથી પરંપરા રહી છે કે ભાજપ-કોંગ્રેસ અહીં સામસામે ઉમેદવારો ઉભા રાખવાનું ટાળે છે.
પાવીજેતપુર બેઠક:
આ બેઠક પર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના મોટા ભાઈ રણજીતસિંહ રાઠવા મેદાનમાં છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા મોહનસિંહ રાઠવા સાથે વેવાઈના સંબંધો હોવાથી કોંગ્રેસ અહીં ઉમેદવાર ઉભો રાખવા તૈયાર નથી.

છોટાઉદેપુર બેઠક:
અહીં માજી સાંસદ નારણભાઈ રાઠવાના પુત્ર સંગ્રામસિંહ રાઠવા ચૂંટણી લડે છે. તેમના કોંગ્રેસના નેતાઓ સાથેના ઘનિષ્ટ સંબંધોને કારણે અહીં પણ વિરોધ પક્ષ 'નરમ' જણાઈ રહ્યો છે.
સંખેડા બેઠક:
ક્રિપાલસિંહ અગાઉ કોંગ્રેસમાં હતા અને હવે ભાજપમાં છે, પરંતુ જૂના સંબંધોને કારણે કોંગ્રેસ તેમને નડવા માંગતી નથી.
કોંગ્રેસના દિગ્ગજ નેતાઓનો 'છોડો ને મગજમારી' વાળો અભિગમ-
એકતરફ ભાજપ ચૂંટણી જીતવા માટે સામ-દામ-દંડ-ભેદ અપનાવે છે, ત્યારે બીજી તરફ જિલ્લા કોંગ્રેસ સમિતિએ કોઈ તૈયારી જ કરી નથી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શશીકાંતભાઈને જ્યારે ઉમેદવારો વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે અસહાયતા વ્યક્ત કરતા કહ્યું કે, "નસવાડી અને છોટાઉદેપુર બેઠક માટે હજુ કોઈ ઉમેદવાર મળ્યો નથી." વધુમાં, માજી વિપક્ષી નેતા સુખરામભાઈ રાઠવાએ તો સાફ શબ્દોમાં કહી દીધું કે, "હું બરોડા ડેરીની ચૂંટણીમાં કોઈ મગજમારી કરતો નથી." નેતાઓનું આવું વલણ કાર્યકરોમાં હતાશા પેદા કરી રહ્યું છે.
આ પણ વાંચો: BSNLના ડિરેક્ટર વિવેક બંજલને રોયલ પ્રોટોકોલ ભારે પડ્યો, 'શાહી સ્નાન' રદ, અધિકારીઓની બદલી
શું આ જ કોંગ્રેસની હારનું મુખ્ય કારણ છે?
જાહેરમાં કોંગ્રેસના નેતાઓ ભાજપને કોસતા જોવા મળે છે, પરંતુ સહકારી ચૂંટણીઓમાં આ જ નેતાઓ ભાજપ સાથે 'ઈલુ ઈલુ' કરી લેતા હોય તેવું ચિત્ર ઉપસે છે. આ મીઠા સંબંધોને કારણે જ કદાચ અન્ય સામાન્ય ચૂંટણીઓમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડે છે, કારણ કે જમીની સ્તરનો કાર્યકર મજબૂત નેતૃત્વના અભાવે વિખેરાઈ જાય છે.









